અમદાવાદ, તા.૩
દેશભરમાં ચાલી રહેલા આંદોલનના ભાગરુપે આજે જ્વેલર્સે સરખેજ-ગાંધીનગર હાઇ-વે પર ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ યોજ્યો હતો. આ સમયે જ્વેલર્સના ૫૦૦થી ૬૦૦નાં ટોળાંએ કેન્દ્ર સરકાર પરનો રોષ આમ જનતા પર ઉતાર્યા હતો અને રસ્તા રોકો આંદોલન કરી સવર્સિ રોડ સહિત હાઇ-વે પર ચક્કાજામ કરી દેતાં કલાકો સુધી ટ્રાફિક ખોરવાઇ ગયો હતો.
- પથ્થરમારો કરી બસ, રિક્ષા અને ત્રણ કારના કાચ તોડી નાખ્યા
આટલેથી ના અટક્યા હોય તેમ જ્વેલર્સે જેમનો કોઇ વાંકગુનો જ નહોતો તેવા અહીંથી પસાર થતાં વાહનોને નિશાન બનાવી કાચ તોડી નાંખતાં મોટો હંગામો થયો હતો. નિર્દાષ લોકોને બાનમાં ન લેવા સમજાવટ છતાં જ્લેલર્સ કાબૂમાં ન આવતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટોળાં વિખેરવા લાઠીચાર્જ કર્યા હતો. આ ઉપરાંત કર્ણાવતી ક્લબ, ઇસ્કોન સર્કલ અને શિવરંજની ચાર રસ્તા પાસે વિરોધ કરી રહેલાં જ્વેલર્સ પૈકી ૧૨ની અટકાયત કરી હતી. ‘સરકાર સામે વિરોધ કરવો હોય તો દિલ્હી જઇને કરો, આમાં આમ નાગરિકોને કેમ બાનમાં લો છો’ તેવો જ્વેલર્સ સામે આક્રોશ ઠાલવતાં લોકોએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી એકસાઈઝ ડયુટી તેમજ ટીડીએસના નિયમો સામે છેલ્લા ૧૭ દિવસથી અમદાવાદ સહિત દેશભરમાં જ્વેલર્સ ધંધા રોજગાર બંધ કરીને વિરોધ પ્રર્દિશત કરી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે એસ.જી.હાઈવે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ નક્કી થયો હતો. સવારે દસ વાગ્યાના અરસામાં સેટેલાઈટ પોલીસને સંદેશો મળ્યો કે, કર્ણાવતી કલબ પાસે જ્વેલર્સે ચક્કાજામ કર્યો છે. આથી તાબડતોડ પોલીસ અધિકારી સહિતની ટીમો સેલ્બી હોસ્પિટલના રસ્તે પહોંચી ત્યારે હાઈવેની બંન્ને સાઈડ તેમજ સર્વિસ રોડ પર ચક્કાજામ હતો. કોઈ પરવાનગી વગર પ્રજા પરેશાન થાય તે પ્રકારે આંદોલન કેમ કરો છો તેવુ કહી પોલીસ સમજાવવાનો પ્રયાસ કરતી હતી. ત્યારે ટોળાંએ પોલીસને ઘેરાવ કરી હુરિયો બોલાવ્યો હતો. કોઈએ પાણીની પ્લાસ્ટિકની બોટલ પોલીસ તરફ ઉછાળી હતી. બીજીબાજુ કેટલાકે પત્થરમારો શરૂ કર્યો હતો. જેમાં એક બસ, એક રિક્ષા અને ત્રણ કારના કાચ તોડી નાખ્યા હતા. સરખેજ અને આંનદનગર પોલીસ સહિત એસીપી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટોળાંને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે નાસભાગ મચી હતી. પાંચસોથી છસોનાં જ્વેલર્સનાં ટોળાંને પોલીસે વિખેર્યા બાદ તેમાંથી એક ટોળું ઈસ્કોન સર્કલ પહોંચ્યું હતુ, જયારે બીજા ટોળામાંથી શિવરંજની ચાર રસ્તા પાસે જ્વેલર્સનો ખુલ્લો સ્ટોર લૂંટી લઈએ એવી બૂમો પોલીસને સાંભળવા મળી હતી. આથી ટોળાંની પાછળ પોલીસ પણ પહોંચી હતી અને શિવરંજની ચાર રસ્તા પાસેથી ૧૨ની અટકાયત કરી હતી. એક જ્વેલર્સ પાસેથી લોખંડની પાઈપ મળી આવતાં તેની વિરુધ્ધ કાર્યવાહી નહીં કરવા પોલીસ પર ભલામણોના ફોન રણકી ઉઠયાં હતા. અટકાયત કરેલા જ્વેલર્સને છોડાવવા પણ ટોળાં પોલીસમથકે ઉમટી પડયાં હતા.
જ્વેલર્સની હડતાળ ૧૯મા દિવસમાં પ્રવેશી
અમદાવાદ : જવેલર્સની હડતાળ હવે ૧૯માં દિવસમાં પ્રવેશી છે. આજે આખા રાજ્યમાં ઠેર ઠેર એક જ સમયે ચક્કાજામના કાર્યક્રમો યોજાયા હતાં. એસ.જી હાઇવે બાદ બપોરે માણેકચોક વિસ્તારમાં પણ દેખાવો યોજાયા હતાં. ત્યારબાદ સાંજે ઘાટલોડિયામાં પણ મોટી સભા યોજાઇ હતી. હવે બુધવારે લિંબડીમાં સભા યોજાવાની છે.
પોલીસ ફરિયાદ ન કરવા રિક્ષાચાલક પર દબાણ
સરખેજ ગામમાંથી પેસેન્જરો ભરીને એક રિક્ષાચાલક પરેશ પટેલ જઈ રહ્યો હતો. કર્ણાવતી કલબ પાસે તેની રીક્ષાને ટોળાંએ અટકાવી જ્વેલર્સે પથ્થર મારી રિક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો. પરેશ પટેલ સેટેલાઈટ પોલીસમથકે ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે જ્વેલર્સ ફરિયાદ ન કરવા દબાણ લાવ્યા હતા. અંતે બંન્ને પક્ષે સમાધાન થયું હતું.
૧ર જ્વેલર્સની અટકાયત
જે જ્વેલર્સની અટકાયત કરાઈ હતી તેમના આગેવાનોના નામ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જો કે, બીકના માર્યા જ્વેલર્સે એવા પ્રત્યુતર આપ્યા કે, અમે નામ ભૂલી ગયા છીએ. જેમની અટકાયત થઈ હતી તેમના નામ આ પ્રમાણે છે. રાજેન્દ્ર નંદલાલ સોની (સેટેલાઈટ), સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ (સોલા), ભરતકુમાર મગનલાલ સોની (બાપુનગર), ચિરાગ મહેશભાઈ શાહ (પાલડી), જીવણભાઈ સોહનલાલ શાહ(સાબરમતી), ભરતકુમાર જયંતીલાલ સોની(ચાંદખેડા), અરવિંદભાઈ હીરાભાઈ પ્રજાપતિ(ગાંધીનગર), પ્રવિણ પ્રહલાદભાઈ પટેલ(ન્યુ રાણીપ), શૈલેષ છનાભાઇ પટેલ (રાણીપ), અલ્પેશ લાલભાઈ પટેલ (કલોલ), નીરવ હસમુખલાલ શાહ (રાણીપ), હસમુખ ભવરલાલ સોની (નરોડા)