નવી દિલ્હી, તા. ૩
ફાંસીની સજા માટે દયાની અરજીમાં સરકારની ભૂમિકા માત્ર સલાહકારની
એક મહત્વની હિલચાલનાં ભાગરૂપે સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિ સમક્ષ વિચારણા માટે પેન્ડિંગ પડેલી ફાંસીની સજા પામેલાઓની ૧૮ દયાની અરજીની વિગતો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ અરજીઓમાં સંસદ ભવન પરનાં હુમલામાં ફંસીની સજા પામેલા અફઝલ ગુરૂની અરજીનો પણ સમાવેશ થાય છે.
સુપ્રિમનાં ન્યાયર્મૂિતઓ જસ્ટિસ જી એસ સિંઘવી અને જસ્ટિસ એસ જે મુખોપાધ્યાયે જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીને લેખિતમાં એવી રજુઆત કરવા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ દયાની અરજીના કેસમાં નિર્ણય લેતી વખતે જે તે કેસનાં ગુણદોષને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ કે કેમ.
સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે દયાની અરજીનાં મામલામાં સરકારની ભૂમિકા માત્ર સલાહકારની છે અને અંતિમ નિર્ણય માત્ર રાષ્ટ્રપતિ જ લઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા પોતાની દયાની અરજીનો નિકાલ કરવામાં અસહ્ય વિલંબ કરવામાં આવ્યો છે તેને પડકારતી ફાંસીની સજા પામેલા દેવેન્દર પાલ સિંહ ભુલ્લરની અરજીનાં સંદર્ભમાં કોર્ટે ઉપર્યુક્ત આદેશ આપ્યો હતો.
સુપ્રિમની બેન્ચ દ્વારા વધારાનાં સોલિસીટર જનરલ હરેન રાવલને ફાંસીની સજા પામેલા ૧૮ આરોપીઓની દયાની અરજીની ફાઈલો રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. છેલ્લા એકથી સાત વર્ષ સુધીમાં કરાયેલી આવી દયાની અરજીઓનો નિકાલ બાકી છે. ભુલ્લર વતી સીનિયર વકીલ તુલસીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ૧૯૯૭થી ૨૦૧૧ સુધીમાં ૩૨ દયાની અરજીઓનો નિકાલ કર્યો હતો જેમાં ૧૩ અરજીઓનો નિકાલ ૧૦ વર્ષની પ્રતિક્ષા કર્યા બાદ કરાયો હતો.