મહાનુભાવોનું ભવિષ્ય - મહેશ રાવલ
મહત્ત્વના યોગો
* શનિ કેન્દ્ર ત્રિકોણેશ
* શનિ રાજયોગકારક
* સૂર્ય, બુધ બુધાદિત્ય યોગ
* શુક્ર, મંગળ - પરિવર્તનયોગ
* શનિ, મંગળ પ્રતિકૂળ કુબેર યોગ
* સૂર્ય, ગુરુ પરિવર્તન યોગ
કોઈ પણ સાલમાં એપ્રિલ મહિનામાં જન્મેલી વ્યક્તિઓ પરાક્રમી અને પ્રભાવશાળી હોય છે, કેમ કે એપ્રિલમાં સૂર્ય મીનના છેલ્લા ચરણમાં અને મેષમાં રહે છે. મીનનો સ્વામી ગુરુ પ્રભાવશાળી બનાવે છે જ્યારે મેષનો સ્વામી મંગળ જાતકને પરાક્રમી બનાવે છે. આ સિવાય એપ્રિલમાં જન્મનાર વ્યક્તિઓ સમજદાર છતાં વધુ ઉગ્ર અને આક્રમક ગુસ્સાવાળી હોય છે, અધીરી હોય છે. વળી અત્યંત મહત્ત્વાકાંક્ષી તેમજ પોતાની વાત સિદ્ધાંત અને માન્યતાને દૃઢતાથી વળગી રહેનાર હોય છે, તેથી લોકો તેમને જિદ્દી કહે છે. દુનિયાથી અલગ પ્રકારે તેઓ વિચારે છે, રહે છે અને કાર્ય કરે છે.
આ ઉપરાંત તેઓ જોખમ ઉઠાવી શકે છે. સાહસ કરી જાણે છે તથા સ્વતંત્ર સ્વમાનપૂર્વક જીવી જાણે છે. કોઈનીય શેહ-દબાણ અને ગુલામીમાં માનતા નથી.
ગુજરાતના પનોતાપુત્ર ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી એપ્રિલમાં જન્મેલા છે. તેઓની કુંડળી જુઓ તો સૂર્ય મેષ રાશિમાં બેસે છે જે બળવાન ઉચ્ચ રાશિમાં છે જેના કારણે પ્રભાવશાળી અને સાહસિક, સમજદાર, ઉતાવળા તથા ધાર્યું લક્ષ સિદ્ધ કરનાર છે.
સૂર્ય સાથે બુધ છે જેણે ઉત્તમ બુધાદિત્યયોગ રચ્યો છે, જે કુશળ વ્યાપારી, કુનેહચાતુર્ય બુદ્ધિસૂચક છે. સૂર્ય સાથે શુક્ર અને બુધ - શુક્ર યુતિના કારણે બુધ વ્યવસાયકારક છે. શુક્ર નાણાંનો દ્યોતક છે, તેથી તેઓ નાણાંની વ્યવસ્થા કરવામાં અદ્વિતીય કુનેહચાતુર્ય અને આવડત ધરાવે છે.
કહેવાય છે કે પૈસાનાં ઝાડ ઊગતાં નથી, પરંતુ સૂર્ય, બુધ, શુક્રની યુતિના કારણે તેઓ જાણે પૈસાનાં ઝાડ ઉગાડી શકતા હોય તેમ જોવા મળે છે અને તેમની કંપનીઓ સારાં ફળ આપનાર બને છે. ભાગ્યકારક, ભાગ્ય સંપત્તિ અને ધનકારક ગ્રહની દૃષ્ટિ સૂર્ય, બુધ, શુક્ર પર હોવાથી જાણે પાંચેય આંગળીઓ ઘીમાં હોય તે રીતે ધન-વૈભવ, પૈસો અને સફળતા મળી છે. આ કુંડળીમાં ભાગ્યેશ બુધ છે જે લાભેશ સૂર્ય સાથે અને લગ્નેશ શુક્ર સાથે યુતિમાં રહી ભાગ્યયોગ, ધનયોગ અને ઇચ્છાપૂર્તિ યોગ રચ્યો છે.
આ કુંડળીમાં શનિ રાજયોગકારક છે, કારણ કે શનિ કેન્દ્ર અને ત્રિકોણાધિપતિ છે જે ૪થા, ૫માં સ્થાનનો માલિક થઈ રાજયોગ રચે છે. વળી શનિ ધન સ્થાનમાં વિપુલ લક્ષ્મી અને સ્થાવર સંપત્તિ આપે છે.
ધનપતિ મંગળ (દ્વિતીયેશ છે) અને રાજયોગકારક શનિ પરસ્પર સામસામે હોવાથી પ્રબળ વિપુલ લક્ષ્મીયોગ (કુબેરયોગ) થયો, જેથી વિશ્વમાં ધનાઢય બન્યા. ૮મે મંગળ તથા ૭મે શુક્ર બંને પરસ્પર પરિવર્તન યોગ રચે છે. જેણે પુષ્કળ ધન, સ્થાવર સંપત્તિ, કીર્તિ અને સાહસોમાં સફળતા બક્ષી છે. ચંદ્ર પોતે ધનરાશિમાં અને ગુરુના ઘરમાં છે તથા ગુરુ પોતે સિંહ રાશિમાં વક્રી (ઉત્તમ) છે અને નવપંચમ યોગ રચી ધનવાન, કીર્તિવાન, સંપત્તિવાન બનાવે છે.
ચંદ્ર કર્માધિપતિ છે. ગુરુ પરાક્રમમેશ છે. વળી તે ભાગ્ય, ધન-સંપત્તિ, સંતાનકારક હોઈ ઉત્તમ યોગ રચાયો છે.
ભાગ્યકારક ગુરુ પર રાજયોગકારક શનિની સંપૂર્ણ દૃષ્ટિ છે. જેના કારણે પ્રબળ સ્થાવર સંપત્તિયોગ થવાથી અબજો રૂપિયાની સંપત્તિ ધરાવે છે અને તેમનું મુંબઈના રહેઠાણનું બિલ્ડિંગ ગગનચુંબી છે.
ચતુર્થ સ્થાન સંપત્તિ વાહન સ્થાન છે. જેનો સ્વામી શનિ યોગકારક થઈ ધન સ્થાનમાં છે, તેથી સંપત્તિ, વાહન અને શ્રેષ્ઠ સુખ વૈભવો પ્રાપ્ત થયાં છે.
રાહુ, તુલા રાશિમાં દેહભુવનમાં અને ૮મે મંગળ છે તે બે અવયોગો સિવાય અનેક મહત્ત્વના યોગો જોવા મળે છે.
૮મો મંગળ ઘાટડીયે ગણાય છે અને દેહભુવનમાં રાહુ જીવનમાં શારીરિક ને માનસિક બોધરેશન, અવરોધ તથા પેટની તકલીફ અને અન્ય આજીવાંતિક બીમારીની શક્યતાનો યોગ સૂચવે છે. જેના પર અગાઉથી લક્ષ આપીને સ્વસ્થ જીવન જીવવું જોઈએ.