શુભ વાર
રવિવારના દિવસે જન્મેલ વ્યક્તિ પર સૂર્ય ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે. આ દિવસે સૂર્યનો પ્રભાવ દરેક ગ્રહો પર હોય છે. સૂર્યની નજીક જે પણ ગ્રહ આવે છે તેનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે, તેથી આ વ્યક્તિઓની પાસે જે પણ વ્યક્તિ આવે છે તેમના પર આપોઆપ પડે છે. આ જાતકો પોતાના આકર્ષણથી બીજા લોકોને શીઘ્ર પોતાની તરફ આર્કિષત કરી લે છે.
સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સૂર્ય તથા સિંહ રાશિ બંનેનો સ્વભાવ ઉગ્ર હોય છે, તેથી આ લોકો બહુ ઝડપથી ક્રોધિત થઈ જાય છે, પરંતુ તક જોઈને શાલીન પણ થઈ જાય છે. સિંહ રાશિના લોકોને સ્વતંત્રતા પ્રિય હોય છે, તેથી આ જાતકો કોઈને આધીન કામ કરવાનું પસંદ કરતા નથી. તેમનામાં ઇચ્છાશક્તિ અને સંકલ્પશક્તિ વધારે હોય છે. આ લોકો કુશળ પ્રશાસક, કુશળ સંચાલક, સમાજસેવક તથા રાજકારણમાં કુશળ રાજનેતા બને છે. જો આ વ્યક્તિઓને નેતૃત્વનું કાર્ય સોંપવામાં આવે તો કોઈ પણ ક્ષેત્રમાં ઉત્તમ પરિણામ આપી શકે છે.
સ્ત્રીઓનો સ્વભાવ
રવિવારના દિવસે જન્મ લેનારી સ્ત્રીઓનું દાંપત્યજીવન સુખમય વ્યતીત થાય છે, પરંતુ તે પોતાના પતિના પ્રત્યેક કાર્યને નફરત કરનારી હોય છે. જોકે સારાં કાર્યોમાં તે કોઈ પણ હદે તેમને મદદ પણ કરશે. આ સ્ત્રીઓનું મુખ સૂર્ય સમાન પ્રભાવશાળી તથા સુંદર હોય છે. ચહેરો ગોળ અને આંખો મોટી હોય છે. ક્યારેક આસક્તિમાં આવીને વહેલાં લગ્ન કરવાની ભૂલ કરી બેસે છે. જેને કારણે તેમને મુશ્કેલીઓ વેઠવી પડે છે. તે બહારથી જેટલી કઠોર હોય છે, અંદરથી એટલી જ ઉદાર પણ હોય છે.
શુભ દિવસ
સોમવાર, શુક્રવાર અને રવિવાર તેમના માટે વિશેષ શુભ હોય છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ આ વારથી કરવો શુભ રહે છે.
શુભ મહિનો
૨૧ જુલાઈથી ૨૦ ઓગસ્ટ. ૨૧ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર. ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ. આ મહિનાઓ કે સમય રવિવારના દિવસે જન્મેલા લોકો માટે લાભદાયક રહે છે.
સ્વાસ્થ્ય
રવિવારના દિવસે જન્મેલ વ્યક્તિ સામાન્ય રીતે બીમાર ઓછી થાય છે, પરંતુ જો થઈ જાય તો તેમનો ઇલાજ લાંબા સમય સુધી ચાલે છે. તેમને હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર, સાંધાનો દુખાવો તથા આંખના રોગ થવાની શક્યતા રહે છે.
શુભ રત્ન
જે વ્યક્તિઓનો જન્મ રવિવારના દિવસે થયો હોય તેમણે માણેક રત્નને સોના અથવા તાંબાની વીંટીમાં જડાવીને રવિવારના દિવસે પ્રાતઃકાળે અનામિકા આંગળીમાં ધારણ કરવું જોઈએ. માણેકની જગ્યાએ લાલ હકીક પણ ધારણ કરી શકાય છે.
ઇષ્ટદેવ અને મંત્ર
આ જાતકોના ઇષ્ટદેવતા સૂર્ય ભગવાન હોય છે, તેથી તેમણે ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. પ્રાતઃકાળે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે નીચેના મંત્રનો જપ કરવો જોઈએ.
મંત્રઃ ૐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ