મોરબી તા. ૪:
મોરબીની સરકારી હોસ્પિટલ હંમેશા કોઈ ને કોઈ વિવાદના કેન્દ્રમાં રહે છે. બેદરકારી, અસભ્યતાપુર્ણ વર્તન અને અસુવિધા મોરબીની હોસ્પિટલની ઓળખ બની ગયા છે. કારણ મોરબીની સરકારી હોસ્પિટલમાં મહત્વના ડોકટરો સહિતની મોટાભાગની જગ્યાઓ ખાલી છે. તેમજ દર્દીઓને સારવાર માટેના મશીનોમાંથી મોટાભાગના વર્ષોથી બંધ હાલતમાં ધુળ ખાઈ રહયા છે.
- સરકારી હોસ્પિટલમાં ભૌતિક સુવિધા વધી પણ આરોગ્ય સુવિધા ધટી
રાજકોટ જિલ્લાની તાલુકાકક્ષાની સૌથી વિશાળ ગણાતી મોરબીની સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ રહયાના દાવાઓ કરવામાં આવી રહયા છે. પરંતુ સમયાંતરે હોસ્પિટલમાં સર્જાતા છબરડાઓ અને અક્ષમ્ય બેદરકારીની ઘટનાઓ આ દાવાઓને પોકળ સાબિત કરતી રહી છે. જો કે છેલ્લા થોડા વર્ષોમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં ભૌતિક સુવિધામાં વધારો થયો છે. હોસ્પિટલના સમારકામ, નવા બિલ્ડીંગો, આકર્ષક દેખાવ વગેરે ફેરફારો થયા છે. પરંતુ હોસ્પિટલમાં જેની ખાસ જરૂર છે તે દર્દીઓને મળતી આરોગ્ય સેવામાં કોઈ નોંધપણ ફેરફાર જોવા મળ્યો નથી. ઉલટાનું હોસ્પિટલમાં બનતા બેદરકારીના કિસ્સાઓનું પ્રમાણ વધું છે.
મોરબીના ધારાસભ્ય અને દાતાઓ દ્રારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટેની આરોગ્ય સુવિધા વધારવા માટે નોંધપાત્ર પ્રયત્નો કર્યો છે. પરંતુ આ સુવિધા અને સેવાને દર્દીઓ સુધી પહોંચાડવાની જેમની જવાબદારી છે તેવો તબીબ સ્ટાફની હોસ્પિટલમાં ઘટ જોવા મળી રહી છે. આજે પણ મોરબીમાં મહત્વના કહી શકાય તેવા સર્જન, રેડિયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ જેવી જગ્યાઓ સંપુર્ણ ખાલી છે અને આ ઉપરાંત બાળરોગ નિષ્ણાંત, જેવી અન્ય મહત્વની જગ્યાએ માનદ ડોકટરોની સેવા લેવી પડી રહી છે. મોરબી હોસ્પિટલના સ્ટાફની સ્થિતી જોઈએ તો વર્ગ - ૧ ની ડોકટરોની કુલ ૧૩ જગ્યામાંથી ૮ જગ્યા ખાલી છે, જયારે વર્ગ - ર ના મેડિકલ સ્ટાફની ૧૭ માંથી ૩ જગ્યા ખાલી છે. આ ઉપરાંત વર્ગ - ૩ ના ઓફીસ સ્ટાફની કુલ ૭૬ જગ્યામાંથી ર૭ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. જયારે વર્ગ - ૪ ની ૪૧ માંથી ૧૪ જગ્યાઓ ખાલી પડી છે.
મોરબી સરકારી હોસ્પિટલમાં હયાત ડોકટરોની જગ્યાઓ ખાલી છે. તેને ભરવાની જગ્યાએ હાલમાં નવું ટ્રોમા સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી. આ ઉપરાંત હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવા પોસ્ટમોર્ટમ રૂમ અને પેપર બ્લોક લગાવવાની કામગીરી ચાલી રહી છે. આમ મોરબીની હોસ્પિટલમાં જેની ખાસ જરૂરિયાત છે. તે તબીબી સ્ટાફના બદલે ભૌતિક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. પણ જેની અત્યંત જરૂર છે તે ડોકટરોની ખાલી જગ્યાઓ ભરવાની તસ્દી લેવામાં નથી આવતી. તેના કારણે ભૌતિક સુવિધા સંપન્ન સરકારી હોસ્પિટલ હોવા છતા તબીબોના અભાવ ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવા માટે જવું પડે છે.
સ્ટાફની અછતની સાથે આરોગ્ય સેવા માટે જરૂરી એવા મશીનમાંથી પણ મોટાભાગના નજીવા રીપેરીંગના વાંકે વર્ષોથી બંધ પડયા છે. દિવા તળે અંધારાની જેમ હોસ્પિટલની બાહ્ય સુવિધા ભલે વધી રહી હોય પણ જરૂરી છે તેવી આરોગ્ય લેવા ધીમે - ધીમે કથળી રહી છે. મોરબી સરકારી હોસ્પિટલમાં ઉચ્ચ આરોગ્ય સેવા માટેના તમામ મશીનો ઉપલબ્ધ છે. પરંતુ આ મશીનોમાંથી મોટાભાગના મશીનો લાંબાસમયથી બંધ હાલતમાં ધુળ ખાઈ રહયા છે. જેમાં વેન્ટીલેટર, સોનોગ્રાફી, ઓપ્થલ મોસ્કોપ, કાર્ડીયોસ્કોપ જેવા મહત્વના મશીનો સાત - સાત વર્ષથી બંધ હાલતમાં પડયા છે.