નવી દિલ્હી, તા. ૪
ફિલ્મ નિર્માતાને જમીન રાજ્યને પાછી આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખની ઝાટકણી કાઢી હતી. દેશમુખ દ્વારા બોલિવૂડના નિર્માતા સુભાષ ઘાઈને વર્ષ ૨૦૦૪માં તેમની ઇન્સ્ટિટયૂટ માટે ૨૦ એકર જમીન ફાળવવાના કેસમાં સુપ્રીમ જણાવ્યું હતું કે તેઓ નિયમો નેવે મૂકીને આ રીતે કોઈને પણ જમીન ફાળવી શકે નહીં.
ન્યાયાધીશો એચ. એલ. દત્તુ અને સી. કે. પ્રસાદની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યની જમીનને તેઓ આ રીતે કોઈને પણ ફાળવી શકે નહીં. મુખ્યપ્રધાન તરીકે દેશમુખનો ઘાઈના ફિલ્મસિટી ઇન્સ્ટિટયૂટને ફાળવેલી ૨૦ એકર જમીનનો નિર્ણય રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમની બેન્ચે જાળવી રાખ્યો હતો.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે દેશમુખની અગાઉના અનેક મુખ્યપ્રધાનોએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી નહોતી ત્યારે દેશમુખે જમીનની ફાળવણીમાં પારદર્શિતા જાળવી નહોતી. રાજ્ય સરકારે ઘાઈને નજીવી કિંમતે આ જમીનની ફાળવણી કરી હતી. બેન્ચે જણાવ્યું હતું કે ઘાઈ મહાન ફિલ્મનિર્માતા છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ફિલ્મઉદ્યોગમાં અન્ય પણ મહાન ફિલ્મનિર્માતાઓ છે ત્યારે તમારી જ પસંદગી શા માટે કરવામાં આવી તે બાબતે કોઈ પારદર્શિતા રાખવામાં આવી નથી.
ઘાઈ વતી હાજર થતાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે ઘાઈએ આ ઇન્સ્ટિટયૂટ વ્હિસલિંગ વૂડ્સમાં રૂ. ૫૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. તેથી આ ઈન્સ્ટિટયુટનો નાશ કરવો જોઈએ નહીં. તેમણે રજૂઆત કરી હતી કે આ જમીન ઘાઈને ભાડા પેટે ફાળવવી જોઈએ, જોકે, બેન્ચે આ દલીલ માન્ય રાખી નહોતી અને કહ્યું હતું કે તેઓ મિલકત માટે નવેસરથી બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
દેશમુખે પોતાનાં જ ટ્રસ્ટને જમીન ફાળવી : કેગ
મુંબઈ : કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ)એ પણ તાજેતરમાં એક અહેવાલમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખ દ્વારા મુંબઈમાં પોતાના જ ટ્રસ્ટને જમીન ફાળવવામાં ગેરરીતિ આચરી હોવાનું જણાવ્યું હોવાનું મનાય છે, જોકે, કેગનો આ અહેવાલ હજી મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થયો નથી. કેગના અહેવાલ મુજબ દેશમુખે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ૨૮મી સપ્ટેમ્બર ૨૦૦૫ના રોજ માન્ઝારા ચેરિટેબલ ટ્રસ્ટને બોરિવલીના પરાંમાં ૨૩,૮૪૦ ચો. મી.નો એક પ્લોટ ફાળવ્યો હતો. ડેન્ટલ કોલેજ શરૂ કરવા માટે રૂ. ૬.૫૬ કરોડની કિંમતે આ પ્લોટની ફાળવણી થઈ હતી. આ ટ્રસ્ટની સ્થાપના તેમણે પોતે જ કરી હતી.