ગોંડલ, તા.૫
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આગામી તા.૧૫ ના રોજ શારીરિક ખોડ ખાપણ ધરાવતી, પિતાની છત્રછાયા ગૂમાવી દેનાર કુલ ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન થયું છે. આ પ્રસંગે આકસ્મિક નિધન પામેલા દસ મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ યોજાશે.
- સહયોગ મિત્ર મંડળનું સમાજને રાહ ચિંધનારૂ કાર્ય
સુલતાનપુરના સહયોગ મિત્ર મંડળ દ્વારા શારીરિક ખોડ ખાપણ ધરાવતી અને પિતાની છત્રછાયા ગુમાવનાર ૧૧ દીકરીઓઓના સમુહ લગ્નનું તા.૧૫ ના રોજ આયોજન થયું છે. સહયોગ મિત્ર મંડળના પ્રમુખ જયેશ દવેએ જણાવ્યા મુજબ કુલ ૧૫ દીકરીઓના લગ્ન યોજાશે.જેમાં ૧૧ દીકરીઓને પિતાની છત્રછાયાં ગુમાવી છે અને ત્રણ દીકરીઓ વિકલાંગ છે. આ દીકરીઓને જરા પણ ઓછપ ન લાગે તે માટે ગ્રામજનો તેમના સ્વજન બની સાસરે વળાવશે.
જીવનની વ્યથા કે વેદનાને ખુશીનાં તાંતણે બાંધવાનો અમે પ્રયત્ન કર્યો છે. વરઘોડા કે ફુલેકામાં સમસ્ત ગામ પરિવાર બની મહાલશે. અને લગ્ન બાદ ભારે હૈયે આ દીકરીઓને વળાવશે.દીકરીઓને કરિયાવર પણ કરવામાં આવશે. દાતાઓ દ્વારા કન્યાઓને સોનાના આભુષણ, કલર ટી.વી.થી માંડી જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેટ અપાશે.આ કાર્યક્રમના પ્રારંભે ગામના અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૦ મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ અપાશે.