મોરબી તા. પ
મોરબીના ઘંટીયાપા શેરીમાં જી.યુ.ડી.સી. દ્રારા પીવાના પાઈપ લાઈન નંખાયાને લાંબોસમય વિતી જવા છતા પણ પાણીની લાઈનમાંથી પીવાનું ટીપું પણ ન આવતા આ વિસ્તારના લત્તાવાસીઓ ઉકળી ઉઠયા છે અને લત્તાવાસીઓએ સ્થાનિકતંત્ર તથા રાજયના પાણી પુરવઠા વિભાગને લેખિત રજુઆત કરીને ટુંકસમયમાં પાણી પ્રશ્ન હલ કરવાની માંગણી કરી છે.
- ઘંટીયાપા શેરીમાં જી.યુ.ડી.સી. દ્રારા પાઈપ લાઈન નખાયાને લાંબો સમય થવા છતા પીવાનું ટીપું પણ ન આવતા લત્તાવાસીઓ ઉકળી ઉઠયા
મોરબીના વોર્ડ નં. ૧૩ માં આવેલા ઘંટીયાપા શેરીમાં પાણી પ્રશ્ન હલ કરવા માટે જી.આઈ.ડી.સી. વિભાગ દ્રારા પીવાના પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી હતી.કામગીરી પુરી થઈ ગયાને લાંબોસમય વિતવા છતા પણ પીવાના પાણીની પાઈપ લાઈન વાટે પાણીના દર્શન થયા નથી. પાણી આવતું ન હોવાથી પાઈપ લાઈન શોભાના ગાઠીયા સમાન બની ગઈ છે. લત્તાવાસીઓને એમ હતું કે, પાણીની પાઈપ લાઈન બિછાવ્યા બાદ થોડી ઘણી પ્રક્રિયા બાકી હશે. પરંતુ તમામ કામગીરી પતી ગયા પછી આજે પાણી આવશે, કાલે આવશે તેમ દિવસો વિતવા છતા પાણીના દર્શન ન થવાથી લત્તાવાસીઓની ધીરજ ખુટી ગઈ છે અને આ બાબતે સ્થાનીકતંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતા પણ પાણી પ્રશ્ન હલ કરવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આથી રોષે ભરાયેલા લત્તાવાસીઓએ આ બાબતે રાજયના પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી હતી કે, ઘંટીયાપા શેરીમાં રપ જેટલા મકાનો છે અને અમારી શેરી ૧૦૦ ફુટ લાંબી અને દરેક મકાનમાં નવું કનેકશન છે. પાણીની લાઈન નખાયા બાદ પાણી ન આપતા અમારા વિસ્તારના રહેવાસીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તેથી લાઈનમાં ટેકનીકલ ફોલ્ટ હોય તો તે દુર કરવા તથા ઘંટીયાપા શેરી અંદરના ભાગે હોવાથી પુરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માટેની માંગણી ઉઠાવી છે.