ગાંધીનગર, તા. ૫
આંતરાષ્ટ્રીય બજારમાંથી મોંધા ભાવે ગેસ ખરીદીને કરોડો રૂપિયાની ખોટ ખાઈને અદાણીને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સબસીડાઈઝ ગેસ આપી શકતા હોય તો ગુજરાતીઓને સબસીડાઈઝ કરીને સસ્તા ભાવે સીંગતેલ કેમ આપી શકાતુ નથી ? તેવા વેધક સવાલો સાથે વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતીઓને રાહતો આપવાની કોઈપણ બાબતે દોષનો ટોપલો કેન્દ્ર સરકાર ઉપર ઢોળી દેનાર રાજ્યની ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે.
- મોદી ગુજરાતીઓને રાહત આપવાના મુદ્દે દોષનો ટોપલો કેન્દ્ર ઉપર ઢોળે છેઃ કોંગ્રેસ
- ભાજપના ધનદાનને કારણે કાળાબજારિયાને છુટ્ટો દોર મળ્યો
- તેલિયારાજાઓ સાથે મોદીની સાંઠગાંઠથી તેલના ભાવ વધ્યા
- કેન્દ્રએ પહેલી વખત બજારથી પણ ઊંચા ભાવે કપાસ ખરીદ્યો
ચૂંટણીના વર્ષમાં ઘનદાનના નામે ખંડણીઓ ઉધરાવતા ભાજપને કારણે કાળાબજારીઓ, તેલીયા રાજાઓ છુટ્ટોદોર મળ્યો છે. તેલિયારાજાઓની સાથે મુખ્યમંત્રીની સીધી સાંઠગાંઠ હોવાથી પુરવઠા વિભાગ કે કલેક્ટરતંત્ર એક પણ રેડ કરી શક્યુ નથી. તેમ જણાવતા વિપક્ષના નેતા ગોહિલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં વેટના દરો વધારે છે. જેના કારણે તેલ જ નહી તમામ જનવપરાશની વસ્તુઓ મોંધીદાટ છે. મુખ્યમંત્રીને હૈયે જો ખરેખર ગુજરાતીઓની ચિંતા હોય તો તત્કાલ વેટ ઘટાડે, ભૂતકાળની કોંગ્રેસની સરકારોની જેમ સીંગતેલનો બફરસ્ટોક ઉભો કરે. માનીતાઓ માટે ગુજરાતની સાધન-સંપત્તિઓ લુંટાવનાર મુખ્યમંત્રી ગુજરાતીઓની મદદની વાત આવે ત્યારે બધુ જ જવાબદારી કેન્દ્ર સરકાર પર ઢોળી દે છે. તેમ જણાવીને ગોહિલે ઉમેર્યું હતુ કે, કેન્દ્રની કોંગ્રેસ સરકારે પહેલી વખત બજારથી પણ ઊંચાભાવે સીસીઆઈ મારફતે કપાસની ખરીદી શરૂ કરી છે. એટલુ જ નહી, ૯મી એપ્રિલે ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની ફરી બેઠક મળશે અને કપાસની નિકાસ હજી જરૂરી પગલાં લેશે. દરેક મુદ્દે કોંગ્રેસની સરકારોને નિશાન બનાવીને ગુજરાતીઓને છેતરતાં મોદીને ગોહિલે પડકાર ફેંક્યો છે કે, ગુજરાત સરકારે મહારાષ્ટ્રની જેમ કપાસ ઉગાડતા ખેડૂતોને રૂ.૨૦૦૦ કરોડનુ પેકેજ આપવુ જોઈએ. કેન્દ્ર સરકારે દેવા નાબૂદ કર્યા પછી મહારાષ્ટ્ની સરકારે ખેડૂતોના વ્યાજમાં રૂ.૨૦,૦૦૦ની સહાયો આપી. ગુજરાતે એક રૂપિયો આપ્યો નથી. કેરેલામાં, ગોવામાં પ્રેટ્રોલ- ડિઝલ પર વેટના દરો ઘટાડીને તેના ભાવો સસ્તા કરાય છે. મુખ્યમંત્રી ગુજરાતીઓને મદદ કરવાનુ છોડીન પોતાના પાપના ઠિકરા કેન્દ્ર ઉપર ફોડી રહ્યા છે. જે નિંદનિય છે.