કોલકાતા, તા. ૬
શૈક્ષણિક પેનલ દ્વારા પાઠયપુસ્તકમાં સામ્યવાદીઓનાં પ્રભુત્વને દૂર કરવા ભલામણ
ડાબેરીઓને ત્રણ દાયકા બાદ પશ્ચિમ બંગાળનાં શાસન પરથી ખદેડયા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના વડા અને રાજ્યનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ડાબેરીઓના દેવતા સમાન કાર્લ માર્ક્સ અને ફ્રેડરિચ એન્જેલ્સને રાજ્યનાં શિક્ષણમાંથી દૂર કરવાની તૈયારી હાથ ધરી છે. પશ્ચિમ બંગાળની શૈક્ષણિક પેનલ દ્વારા કરાયેલ ભલામણને પગલે સરકારી શાળાઓના ઇતિહાસના અભ્યાસક્રમમાંથી માર્ક્સવાદના સ્થાપક કાર્લ માર્ક્સ અને ફ્રેડરિચ એન્જેલ્સને દૂર કરાય તેવી શક્યતા છે.
મમતા બેનરજી સરકારનાં આ પગલાંની સામ્યવાદીઓએ ઝાટકણી કાઢી છે અને તેમના આ પ્રયાસને ફરીથી ઈતિહાસ લખવા સમાન ગણાવ્યો છે, પરંતુ શાસક તૃણમૂલ કોંગ્રેસે તેના પ્રયાસનો બચાવ કરતાં દાવો કર્યો હતો કે રાજ્યના ઈતિહાસના પાઠયપુસ્તકમાં રહેલા અસંતુલનને તેમણે સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.
તૃમમૂલના સાંસદ ડેરેક ઓ'બ્રાયને સ્પષ્ટ કર્યું હતું કે સરકાર ફરીથી ઇતિહાસ લખવા પ્રયાસ કરી રહી નથી. મહાત્મા ગાંધી અથવા મંડેલાના ભોગે માર્ક્સનો અભ્યાસ થઈ શકે નહીં. ઈતિહાસની શરૂઆત બોલ્શેવિક્સથી થઈ નહોતી અને બાસુ તથા ભટ્ટાચાર્ય સાથે તેનો અંત નથી થયો. રાજ્યની સ્કૂલ એજ્યુકેશન સિલેબસ કમિટિએ અભ્યાસક્રમને આધુનિક બનાવવાનું અને વિદ્યાર્થીઓ પર બિનજરૂરી ભાર બનતા વિષયોને દૂર કરવાનું કાર્ય હાથ ધર્યું છે.