નવી દિલ્હી, તા. ૭
લશ્કરી બળવાની હિલચાલ કોઈ ભેજાગેપની ઊપજ
જાન્યુઆરીના મધ્યમાં લશ્કરનાં બે યુનિટની 'અસામાન્ય' હિલચાલના અહેવાલોને નકારી કાઢતાં લશ્કરી વડા જનરલ વી. કે. સિંહે આ હિલચાલને 'રુટિન' ગણાવી હતી અને યુનિટની હિલચાલ માટે સરકારને જાણ કરવાની કોઈ જરૂર નથી. લશ્કરે બેે એકમોની હિલચાલની સરકારને જાણ કરવાના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે શું થયું છે ? અને સરકારને શા માટે જાણ કરવી જોઈએ ? હકીકતમાં લશ્કરી બળવાના અહેવાલો કોઈ ભેજાંગેપની ઊપજ છે.
બે યુનિટની હિલચાલના સંદર્ભમાં સરકારે લશ્કર પાસેથી ખુલાસો માગ્યો હોવાનો ઈનકાર કરતાં લશ્કરી વડાએ કહ્યું હતું કે તેમની પાસેથી કોઈ ખુલાસો માગવામાં આવ્યો નથી. આ રુટિન મુદ્દાઓ છે, એક અથવા બે યુનિટની હિલચાલથી કોઈ ફરક પડતો નથી. આર્મ્ડ ડિવિઝન દિલ્હી તરફ કૂચ કરી જતી નહોતી. બંને યુનિટની હિલચાલના સમય અને સુપ્રીમ કોર્ટમાં તેમના કેસના ટાઈમિંગ વચ્ચે કોઈ કડી હોવાનો ઈનકાર કરતાં તેમણે કહ્યું હતું કે આમ્ કોઈ પગલાંથી સરકાર ગભરાતી નથી. વડાપ્રધાન મનમોહનસિંહ, સંરક્ષણપ્રધાને પણ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.
એક અગ્રણી અંગ્રેજી દૈનિકે ૧૬મી અને ૧૭મી જાન્યુઆરીએ મોડી રાત્રે લશ્કરના બે યુનિટોની હિલચાલને લશ્કરી બળવા સમાન ગણાવ્યો હતો. વયના વિવાદના મુદ્દે લશ્કરી વડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તે જ દિવસે બે યુનિટ રાજધાની દિલ્હી કૂચ કરી ગયા હતા. જોકે, આ લશ્કરી કાર્યવાહીને લશ્કરી બળવામાં ખપાવી દેવાના મીડિયાના પ્રયાસોની સરકાર તેમજ વિપક્ષે આકરી ઝાટકણી કાઢી હતી. સંરક્ષણ પ્રધાન એન્ટોની સહિત સરકાર અને વિવિધ રાજકીય પક્ષોએ પણ આ મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા. રાજકીય પક્ષોએ લશ્કરમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.