આયુર્વેદ - વૈદ્ય મનુભાઈ ગૌદાની
આશરે પાંત્રીસેક વર્ષનાં બહેને પોતાની તકલીફ વિશે જણાવ્યું, મને દર ત્રીજા કે ચોથા મહિને કસુવાવડ થઈ જાય છે. લગ્ન બાવીસમા વર્ષે કરેલાં. આજે મને ૩૫મું વર્ષ ચાલે છે. આ ગાળામાં મને કુલ સાત કસુવાવડ થઈ છે. આધુનિક રીતે બધી તપાસ કરાવી છે. મારા પતિના રિપોર્ટ નોર્મલ છે. મારું માસિક પણ નિયમિત છે. હા, એ આવવાનું હોય ત્યારે પેડૂમાં ખૂબ જ દુખાવો થાય છે. આ દુખાવો પ્રથમ દિવસ પૂરતો જ રહે છે. ગર્ભાશય પણ નોર્મલ છે. પાચનતંત્રમાં કોઈ જ ખામી નથી. માત્ર કબજિયાત રહે છે.
ગર્ભ રહે ત્યારે ઊલટી, ઊબકા, અરુચિ વગેરે ગર્ભ રહ્યાનાં લક્ષણો પણ પ્રગટ થાય છે અને યુરિનનો પ્રેગ્નન્સીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાયનેકોલોજિસ્ટ પણ પ્રેગ્નન્સી છે એમ કહે છે અને ખૂબ જ સાવચેતીપૂર્વક રહેવાનું અને પથારીમાં જ સૂતા રહેવાનું કહે છે. અતિ આધુનિક દવાઓમાં લોહીનાં ઇન્જેક્શન, વિટામિનની ટેબ્લેટ, ગર્ભ પડી ન જાય એ માટે ગર્ભાશયના મોઢાને ટાંકા લેવરાવવા તથા એમાં ખૂબ જ ઉપયોગી એવાં હોર્મોનનાં ઇન્જેક્શન લેવા છતાં સાડા ત્રણથી ચોથા મહિનામાં તો બ્લિડિંગ થઈને કસુવાવડ થઈ જ જાય છે. વૈદ્યરાજ, મને બાળક થતું જ ન હોય તો આટલી ચિંતા ન થાય, પરંતુ કુદરત ભૂખ્યા માણસને મોઢે આવેલો કોળિયો ઝડપી લેવા જેવું કાર્ય કરે છે. એક બાળકની માતા બનવાની મારી તીવ્ર ઇચ્છા છે. તે માટે મારું મન માતૃત્વને ખૂબ જ ઝંખે છે. હા, મને દોઢ મહિનાની પ્રેગ્નન્સી છે. જુઓ આ રહ્યો યુરિન પ્રેગ્નન્સીનો પોઝિટિવ રિપોર્ટ. આ વખતે આયુર્વેદીય ઉપચાર કરાવવાની દૃઢ ઇચ્છા સાથે છેક ભૂજથી આવી છું. આપે કચ્છના બળદિયા ગામનાં મિસિસ રાઘવાણીનો આવો જ કેસ સુધારેલો. તેમની પ્રેરણાથી જ હું અહીં આવી છું. એમ કહીને તે બહેને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.
જુઓ બહેન, આપની વિકૃતિને આધુનિકો હેબિચ્યુઅલ એબોર્શન કહે છે. અમે વૈદ્યો તેને ‘ગર્ભસ્ત્રાવ’ કહીએ છીએ. ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત એમ કસુવાવડના બે પ્રકાર છે. ત્રણેક મહિના સુધીનો ગર્ભ પડી જાય તો તેને ગર્ભસ્ત્રાવ કહેવામાં આવે છે અને ચાર મહિના પછીનો ગર્ભ પડી જાય તો તેને ગર્ભપાત કહેવામાં આવે છે.
હવે તમને જે રીતે ગર્ભસ્ત્રાવ થાય છે, તે વાયુને લીધે થાય છે. તમારી ત્વચાની રુક્ષતા, માસિક વખતે દુખાવો, કબજિયાત વગેરે વાયુનો પ્રકોપ સૂચવે છે. વળી, ગર્ભાશયની બાજુમાં પક્વાશય પણ વાયુનું સ્થાન છે એટલે વાયુનો પ્રકોપ થાય ત્યારે તેની સીધી અસર ગર્ભાશય પર પણ થાય છે. એટલે વાયુને ધ્યાનમાં રાખીને ઉપચારક્રમ લખી આપું છું. હવે આપે કચ્છ-ભૂજથી અહીં આવવાની જરૂર નહીં રહે. તમે આ પ્રમાણે ઉપચાર ચાલુ રાખજો. એમ કહીને અમે તેમને આ પ્રમાણે ઉપચાર લખી આપ્યો.
* કાળા તલ, મજીઠ, શતાવરી અને પોષણભેદ આ ચારે ઔષધ સરખા વજને લેવાં. તેને ખૂબ ખાંડી અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ એક ગ્લાસ દૂધમાં નાંખી રોજ સવારે પીવું ત્રીજો મહિનો પૂરો થાય ત્યાં સુધી.
* શતાવરી, જેઠીમધ, ગળો, અનંતમૂળ ઉપરની માત્રા પ્રમાણે રોજ રાત્રે એક ગ્લાસ દૂધમાં નાખી પીવો, ચોથો મહિનો.
*અનંતમૂળ, રાસ્ના,જેઠીમધ અને કુષ્ણસારિવા. પાંચમો મહિનો.
* ઊભી ભોયરીંગણી, બેઠી ભોયરીંગણી, ગંભારી, વડના અંકુર અને જેઠીમધ છઠ્ઠા મહિને.
* જેઠીમધ, સરગવો, ગોખરું, પ્રશ્નપર્ણી સાતમા મહિને.
* સિંઘોડા, કમળમૂળ, દ્રાક્ષ, કેસર, જેઠીમધ અને સાકર આઠમા મહિને આ બધાં ઔષધો આયુર્વેદીય ઔષધો વેચતાં ગંધિયાવાળાને ત્યાંથી મળી જશે. ઉપરાંત બીજી દવાઓ આ પ્રમાણે પહેલેથી જ નવમા મહિના સુધી લેવી.
* ગર્ભપાલ રસની એક ટેબ્લેટ રોજ રાત્રે લેવી.
* ફલઘૃત એક એક ચમચી રોજ સવારે અને રાત્રે એક ગ્લાસ દૂધમાં લો.આહારમાં વાયુ કરે એવા ઠંડાં, લૂખાં અને વાસી આહારદ્રવ્યો લેવાં નહીં. વાયુના પ્રકોપથી થતી કસુવાવડમાં ઉપર્યુક્ત ઔષધોપચારથી એ બહેનને પૂરા મહિને નોર્મલ સંતાન જન્મ્યું.