આણંદ,ખંભાત તા.૭
ખંભાત શહેરમાં ચૈત્રી પુનમના દિવસે દરિયાકાંઠે ગતરોજ સાંજના સમયે મેળાની ઉજવણીમાં પાંચ બાળકો દરિયાની ભરતીમાં ધસમસતા નીરમાં ફસાઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાળ થતાં જ સ્થળે પહોંચેલી ફાયરબ્રીગેડ તથા ખંભાત પોલીસે લાંબા સંઘર્ષ બાદ ચાર બાળકોને બચાવી લીધા હતા જ્યારે એક બાળકની શોધખોળ આસપાસના દરિયાકાંઠાના સ્થળોએ કરતાં આજરોજ બપોરે ૧.૩૦ કલાકે આ બાળક મૃત અવસ્થામાં ખંભાત દરિયાકાંઠાના ત્રીજા ડંકેથી મળી આવ્યો હતો.
- ખંભાતના દરિયાકાંઠાના ત્રીજા ડંકેથી મૃતદેહ મળી આવ્યો
આ સમાચાર મળતાં મૃત બાળકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરી મુકતાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી હતી.આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે અપમૃત્યુની નોંધ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખંભાતમાં ચૈત્રી પુનમ આવે ત્યારે દરિયા કિનારે પ્રતિવર્ષ મેળો ભરાય છે દરમ્યાન ગતરોજ ચૈત્રી પુનમ હોઈ અસંખ્ય માનવ મહેરામણ ઉમટી પડયો હતો ત્યારે મોડી રાત્રીએ પાંચ બાળકો નહાવા પડતાં આવેલ ભરતીમાં ફસાઈ ગયા હતા.જે બનાવ અંગે ફાયરબ્રીગેડ અને પોલીસને જાણ કરવામાં આવતાં ફાયરબ્રીગેડના દરિયામાંતરવૈયાઓ તાત્કાલીક દોડી ગયા હતા અને શોધખોળ હાથ ધરતાં ઘણા લાંબા સંઘર્ષ બાદ ચાર બાળકોને બચાવી લેવામાં સફળતા મળી હતી અને તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક બાળક યોગેશભાઈ મહેશભાઈ રાણા ઉ.વ.૧૨ જે સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો જે મળી આવ્યો ન હતો.રાત્રીના સમયે તેના પરિવારજનોએ દરિયા કાંઠે અનેક મુશ્કેલીઓ વેઠી ફાયરબ્રીગેડ,પોલીસની મદદ લઈ શોધખોળ આચરી હતી.
દરમ્યાન આ બાળકની શોધખોળ માટે તેના પરિવારજનો અને ફાયરબ્રીગેડના તરવૈયાઓએ રાલેજ શિકોતેર,વડગામ,ધુવારણ,વડુચી માતા તમામ દરિયા કિનારે શોધખોળ હાથ ધરી હતી.અંતે તેનો મૃતદેહ ખંભાતના રાધારી દરિયા કિનારાના ત્રીજા ડંકેથી મળી આવ્યો હતો.યોગેશના મૃત્યુના સમાચાર વાયુ વેગે શહેરમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે તેને જોવા માટે ઉમટી પડયા હતા.આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસ મથકે નયનકુમાર બંસીલાલ રાણાની ખબરના આધારે પોલીસે અપમૃત્યુની નોંધ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ વર્ષમાં પ્રથમવાર આટલી મોટી ભરતી આવી છે તેમાં આ બાળકો નહાવા ગયા હોવાથી આ ભરતીનો ભોગ બનવા પામ્યા હતા.
માતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યોમૃત બાળક યોગેશના પિતા મહેશભાઈ ૧૦ માસ પહેલાં જ મૃત્યુ પામ્યા છે તેની માતા રમીલાબેન જે ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની નાની બહેન ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે ત્યારે યોગેશનું મોત નિપજતાં તેની માતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યાના સમાચાર મળતાં જ હૈયાફાટ રૂદન કરી મુક્યું હતું.પોતાના પુત્રને મોટો કરી કેટલીય આશાઓ તેના ઉપર રાખી હતી પરંતુ તમામ આશાઓ પર આજે પાણી ફરી વળ્યું હતું અને તેમનો જે સહારો હતો તે જ આજે આ દુનિયામાં નથી તેમ તેમણે કરૂણ આક્રંદ સાથે જણાવ્યું હતું.