સાવલી, તા.૮
સાવલી તાલુકામાં બે માસ અગાઉ થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ બાદ રણજીતનગર પંચાયતના સરપંચના બે ઉમેદવારોના સરખા મત નીકળતા ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠીઓ ઉઠાળી પરિણામ જાહેર કર્ય હોય હારેલા ઉમેદવારે સાવલી કોર્ટમાં ફેરમતગણતરીની પીટીશન દાખલ કરી હતી. જેમાં સાવલી કોર્ટે ખુલ્લી કોર્ટમાં મતગણતરી કરાવતા ચૂંટણી અધિકારીને નિર્ણય યોગ્ય માની પરિણામ યથાવત રાખવાનો અને અરજી પરત ખેંચી લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.
- મતગણતરી ટાણે સરપંચ પદના બંન્ને ઉમેદવારોના મત સરખા નીકળતાં ચિઠ્ઠી ઉછાળી હતી
- ચૂંટણી અધિકારી એકને વિજેતા જાહેર કરતા મામલો સાવલી કોર્ટમાં પહોંચ્યોહતો
સાવલી તાલુકાની રણજીતનગર ગામની સરપંચ પદની ચૂંટણી તા.૨૯-૧૨-૧૧ના રોજ અન્ય ૬૪ પંચાયતોની જેમ ચૂંટણી યોજાઇ હતી. તા.૩૧મીના રોજ સાવલી બી.કે. પટેલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે મતગણતરી પ્રારંભ થતા સાંજના સમયે રણજીતનગરની ગણતરી શરૂ થતા મહીડા યોગેશકુમાર ગણપતસિંહ અને પટેલ મહેન્દ્રભાઇ મગનભાઇને ૨૬૬ + ૨૬૬ એમ બંન્નેને સરખા મત મળતા ભારે રસાકસી તેમજ રોકાંચક્તા પેદા થઇ હતી. તે સમયે ચૂંટણી અધિકારીએ નિયમ મુજબ ચિઠ્ઠીઓ ઉછાળવાનું નક્કી કરતા બંન્ને ઉમેદવારો અને તેમના સમર્થકોની હાજરીમાં ચિઠ્ઠીઓ ઉછાળતા મહેન્દ્રભાઇ પટેલની ચિઠ્ઠી નીકળતા તેઓને વિજેતા જાહેર કર્યા હતા. સદર નિર્ણયથી નિરાશ અને અસંતુષ્ઠ પરાજીત ઉમેદવાર મહિડા યોગેશકુમારે ફેર મતગણતરી માંગતા ચૂંટણી અધિકારીએ નકારી કાઠીને નિર્ણય યોગ્ય ગણાવ્યો હતો.
આ નિર્ણયથી નારાજ થયેલા ઉમેદવારે રદ થયેલા મતો સામે ભેદભાવ અને ચૂંટણી અધિકારી સામે આક્ષેપ કરી પોતાના વકીલ મારફતે ચુકાદાને પડકારતી તેમજ ફેરમતગણતરીની માંગ કરતી પીટીશન સાવલી કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં નામદાર કોર્ટે તમામ મતપેટી તેમજ ચૂંટણી સમયનું તેમજ મતગણતરીને લગતુ તમામ સાહિત્ય કોર્ટ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યા હતો. જે અંગેનો કેસ કોર્ટમાં રજુ થતા ગત રોજ સાંજના સમયે જીતેલા ઉમેદવાર પટેલ મહેન્દ્રભાઇ અરજદાર યોગેશભાઇ મહિડા સરકારી વકીલ, વકીલ મંડળના સભ્યો, બંને પક્ષનો વકીલો ચૂંટણી અધિકારી તથા અન્ય હાજરજનોની હાજરીમાં બેલેટપેટી ખોલી તમામ મતો ગણ્યા હતા. જે શંકાસ્પદ મતો હતા તેણે પણ ગણ્યા હતા. અને પરિણામ બરાબર યોગ્ય લાગ્યુ હતું. અને શંકાસ્પદ મતો વિશે બંન્નેવ પક્ષના દલીલોને સાંભળી સિવિલ પ્રિન્સીપલ જજ જે.એ. બારોટે રદ થયેલા મતોને બારીકાઇથી નિરિક્ષણ કરી જે તે સમયનું પરિણામ યોગ્ય જણાતા અરજદારને પણ આ પરિણામ નિષ્પક્ષ અને સંતોષભર્યુ જણાયુ હતું. અને પોતે કરેલી આરજી ખેંચી લઇ કોર્ટના નિર્ણયને માન્ય અને યોગ્ય માન્યો હતો. જ્યારે રણજીતનગર ગામની ચૂંટણીની મતગણતરી ફરીવાર કોર્ટમાં થઇ રહી છે. તે ચર્ચા વાયુ વેગે સમગ્ર નગર અને રાજકીય વર્તુળોમાં પ્રસરી જતા લોકટોળા ભેગા વળ્યા હતા. અંતે ચૂંટણી અધિકારીનો ગણતરી સમયનો નિર્ણય સાચો અને વ્યાજબી કોર્ટે ઠેરવતા બંને પક્ષોએ ખેલદીલીથી સ્વીકારી સમગ્ર વિવાદ પર પડદો પાડી દીધો હતો. અને સૌ પોત પોતાના ઘરે રવાના થયા હતા. અને ભારે નાટયાત્મક એપીસોડનો સુખદ અંત આવ્યો હતો.