ઉમરેઠ,તા.૮
ર૦૦રમાં ગોઘરા રેલ્વે સ્ટેશન ઉપર કાર સેવકોને જીવતા બાળી નાખવાના બનાવ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના પગલે આણંદ જીલ્લાના ઓડ ગામે કોમી હુતાશનનું તાંડવ થતાં જુદા-જુદા ૩ બનાવોમાં ર૭ લોકોને જીવતા સળગાવી મુકવાની ઘટના બની હતી.
- ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
જે પૈકી ર૩ લોકોને જીવતા સળગાવી મુકવાનો તેમજ અન્ય સ્થળે એક વૃધ્ધને જીવતો સળગાવી મુકવાના જુદાજુદા બે કેસની સુનાવણી આણંદની સ્પેશ્યલ કોર્ટના જજ શ્રીમતી પી.બી.સિંઘ સમક્ષ પુર્ણ થતાં આ કેસનો આવતીકાલે ચુકાદો હોઈ કોઈ અનિચ્છિય બનાવ ના બને તેના પગલે ઓડ ગામને પોલીસ છાવણીમાં તબદીલ કરી નાખવામાં આવ્યુ છે.
મળતી માહીતી મુજબ સમગ્ર જીલ્લામાં હાહાકાર મચાવનાર ર૦૦રની ઓડ ગામની ઘટનાને દશ વર્ષના વહાણા વીતી ગયા છે.આ જઘન્ય ઘટના બાદ બે એફ.આઈ.આર નોંધાઈ હતી. ર૩ વ્યકિતઓને જીવતા સળગાવી મારી નાખવાના આ બનાવના સંદર્ભે પ૧ આરોપીઓની ધરપકડ કરી જેલના હવાલે કરાયા હતા. જોકે ત્યારબાદ તેઓને જામીન ઉપર છુટકારો થયો હતો. પરંતુ ર૦૦૯માં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના બાદ ફરીથી અલગ ચાર્જસીટ કરી ૧૬ તોહમતદારોને ઉમરેઠ કોર્ટમાં રજુ કરેલા તેમાંથી ૧ને કલીનચીટ તેમજ ૧નું મૃત્યુ નીપજતા હાલ ૧૪ તોહમતદારો જેલમાં છે.તેવા સમયે આ ઘટનામાં પરીવારજનોને ગુમાવનાર કાલુમીંયા મહંમદમીંયા આરોપીઓને કડક સજા થાય તેમ આશાવંત બનેલ છે તો આરાપીઓના પરીવારજનોમાં પણ આ ચુકાદાને લઈ ઉત્તેજના પ્રસરી રહી છે. તેઓના મતે એસ.આઈ.ટી ધ્વારા સઘન ખોજ છતાં મૃત્યુ પામેલા કહેવાતા શખ્સોના કોઈ પુરાવા મળ્યા નથી જેથી તેઓને ન્યાય મળે તેવી આશા રાખી રહયા છે.
ગોઝારી ઘટના ભુલે પણ ભૂલાતી નથી!
ગોધરાકાંડના ઘેરા પ્રત્યાઘાતના પગલે ૧લી માર્ચ ર૦૦રની સાંજના ચાર વાગ્યાના સુમારે આણંદ જીલ્લાના ઓડ ગામે તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં બે હજારથી વધુ તોફાની શખ્સોના ટોળાએ પથ્થરો તેમજ જ્વલનશીલ પદાર્થાેનો ઉપયોગ કરી પીરાવાળી ભાગોળના ર૩ વ્યકિતઓના તેમજ સુરીવાળી ફળીયામાં વૃધ્ધ વ્યકિતનું મોત નીપજાવવાની એફ.આઈ.આર ખંભોળજ પો.સ્ટેમાં નોધાઈ હતી. આ ર૪ વ્યકિતઓના મોત નીપજાવવાની ઘટનાનો આવતીકાલે ચુકાદો હોઈ ઓડમાં ફરીથી તોફાનો ફાટી ના નીકળે તેની તકેદારીના પગલે આજે સમગ્ર ઓડ ગામમાં અર્ઘ લશ્કરી દળો તેમજ પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે.
૬૦ એસઆરપી જવાનોનો બંદોબસ્ત
ઓડમાં ર૭ લોકોને જીવતા સળગાવી મારવાના બનાવ અંગે ૯ એપ્રિલે જજમેન્ટ આપવામાં આવે છે કે પછી તારીખ પડે છે તે આવતીકાલે ખબર પડશે તેમછતાં કોઈ અનિચ્છિનીય બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે ૧ ડિવાયએસપી, ૧, પી.આઈ., ૬ પી.એસ.આઈ., અંદાજે ૭પ પોલીસ જવાનો તેમજ મહીલા એસ.આર.પી સહિત ૬૦ એસ.આર.પી જવાનોને સમગ્ર ઓડ નગરમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.
સ્વજનોની નજર આજના ચુકાદા પર
ગોઘરાકાંડ બાદ કોમી તનાવે ઓડ નગરને પોતાની લપેટમાં લીધુ હતુ. જેમાં ર૭ લોકોને જીવતા સળગાવી મારી નાખી તેના હાડકા મલાવ ભાગોળ વાળો કુવો તેમજ બજારમાં આવેલી વાવમાં નાખી દીધા હોવાની મૃત્યુ પામેલાઓના સ્વજનો ધ્વારા અરજીઓ થતાં એસ.આઈ.ટીના વડા રાઘવનના વડપણ હેઠળ તેમની ટીમે ઉપરોકત બંન્ને સ્થળોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ટીમના દોઠ માસના પડાવ દરમ્યાન ચર્ચા મુજબ બંન્ને સ્થળોની વારંવારની ચકાસણી બાદ પણ એકપણ માનવ અંગ (હાડકા) મળી આવ્યા ન હતા. ત્યારે આ ઘટનાના કારણમાં જેલમાં સબડી રહેલા આરોપીઓના સ્વજનોની નજર પણ આવતી કાલના ચુકાદા પર મંડાઈ છે.
હિન્દુ-મુસ્લિમ આગેવાનોની મીટિંગ બોલાવાઈ
ઓડમાં બનેલી જધન્ય ઘટનાના સાક્ષી કાલુમીંયા મહંમદમીંયા મલેકના પરીવારને પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યુ છે. તેઓ રહે છે તે નવાપુરા વિસ્તાર તેમજ સુરીવાળી ભાગોળ, પીરાવાળી ભાગોળ, મલાવ ભાગોળ જેવા મુસ્લીમ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પી.એસ.આઈ જાનીએ હિંન્દુ મુસ્લીમ આગેવાનોની શાંતી સમીતીની મીટીંગ બોલાવી જજમેન્ટ વખતે સંયમ રાખવા અપીલ કરી હતી.