અમદાવાદ,તા.૮
કર્ણાટકમાં વકફ બોર્ડની જમીનોનું કોર્મિશયલ પોપર્ટી તરીકે વેચી દેતાં ૨ લાખ કરોડના કૌભાંડે વિવાદ જન્માવ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદ ઉપરાંત રાજ્યમાં વકફ હસ્તક હેઠળના કબ્રસ્તાન સહિત જમીનોમાં વ્યાપકપણે દબાણો કરી દેવાયાં છે. કબ્રસ્તાનોમાં જ ગેરકાયદે મકાનો અને દુકાનો બાંધીને ટ્રસ્ટીઓ બારોબાર વહીવટ કર્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
- ગોડાઉનો, મકાનો, દુકાનો ઊભા થઈ ગયા
- વકફની મિલકતોમાં ઘણા ટ્રસ્ટો દ્વારા ગેરવહીવટની શંકા
અમદાવાદ શહેરમાં દાણીલીમડામાં ઐતિહાસિક ગંજ શહિદ ક્બ્રસ્તાન, શાહીબાગ સ્થિત મુસે સુહાગ કબ્રસ્તાન, ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન, મજૂરગામમાં ઇબ્રાહીમ શહીદ કબ્રસ્તાન અને જમાલપુર ચાર રસ્તા પાસે બુખારીબાવા કબ્રસ્તાન સૌથી મોટાં કબ્રસ્તાનો છે. શહેરની વચ્ચોવચ આવેલાં આ કબ્રસ્તાનોનું કુલ જમીનની કિંમત આજે કરોડો રૂપિયા થવા જાય છે. કબ્રસ્તાનોની આજે એવી સ્થિતિ સર્જાઇ છે કે, જે કબ્રસ્તાનનું કુલ ક્ષેત્રફળ ૮૦ એકર હતું તેમાં દબાણો થતાં માત્ર પાંચ એકરની જમીન જ બચી છે.આવકના નામે કબ્રસ્તાનોમાં વસવાટ માટે ગેરકાયદે મકાનો અને દુકાનો ઊભી કરીને લાખોની કિંમતમાં વેચી દેવાય છે. ટ્રસ્ટીઓ બારોબાર વહીવટ આચરીને લાખોની કમાણી કરી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. કેટલાંય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યાં હોવા છતાંયે તેમના નામો આજે ચાલુ રહ્યાં છે. ગેરરીતિઓને કારણે ટ્ર્સ્ટો હિસાબ સુદ્ધાં આપતાં નથી. આ કારણોસર રાજ્યમાં કબ્રસ્તાન સાંકડા બની રહ્યાં છે પરિણામે મુસ્લિમ બદ્ધિજીવીઓએ આ પ્રશ્ને કબ્રસ્તાન અને વકફની મિલ્કતો બચાવવા અભિયાન શરૂ કર્યું છે.અધિકારિક સૂત્રોના મતે,કેટલાંક ટ્રસ્ટોએ તો વકફ બોર્ડના નિયમોને ઘોળી પી જઇને લાખો રૂપિયાનો બારોબાર વહીવટ કર્યો હોય તેવું સ્પષ્ટ જાણાઇ રહ્યું છે. વકફ બોર્ડના નિયમ અનુસાર, કોઇપણ ટ્રસ્ટ જમીન કે દુકાનને ભાડાપેટે ૩૬ મહિનાથી વધુ આપી શકે નહીં પણ એવું જાણવા મળ્યું છે કે, સરખેજ રોઝા પાસેની ખુલ્લી જમીનો ૯૯ વર્ષના ભાડાંપટે જમીનો આપી દેવામાં આવી છે.માત્ર રૂ.૫૦૦ના ભાડાંપેટે આપી દેવાઇ છે. ભાડું પણ પણ દર મહિને કે દર વર્ષે લેવાને બદલે એક સાથે રૂ.૬ હજાર લેખે પાંચ વર્ષનું એક જ દિવસે લેવાય છે જેથી એક વ્યક્તિ એક દિવસમાં રૂ.૩૬ હજાર કેવી રીતે ભરે તે અંગે શંકા છે.એટલું જ નહીં પણ વકફ હસ્તકના ટ્ર્સ્ટોની જમીનો આજે ગણોતિયાના નામે ચઢી ગઇ છે. આમ આવાં તો કેટલાંય કિસ્સાં છે. આ અંગે બુદ્ધિજીવી મુસ્લિમોએ ટ્રસ્ટો સામે આકરાં પગલાં રજૂઆત કરી છે. જો રાજ્ય સરકાર આ મુદ્દે તપાસ કરે તો કર્ણાટકને ટપી જાય તેવું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાં છે.જોકે,આ મુદ્દે રાજ્ય વકફ બોર્ડના ચેરમેન એ.આઇ.સૈયદનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.