અમદાવાદ,તા.૮
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આજે રાજ્યના મુખ્યસચિવ એ.કે. જોતિને લખેલા પત્રમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાની જાસૂસી કરવામાં આવી રહી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. મોઢવાડિયાએ પત્રમાં ભવનમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે તટસ્થ તપાસ સમિતિની રચના કરવાની માગણી કરતાં જણાવ્યું છે કે, રૂનવી દિલ્હીના ગુજરાત ભવનમાં તેમને વારંવાર રૂમ નં.૧૪ ફાળવવામાં આવે છે અને મને શંકા છે કે ગુજરાત ભવનમાં મારી જાસૂસી માટે બગીંગ મશીનો ગોઠવવામાં આવ્યા છે.રૂ અગાઉ પણ મેં અનેક વખત ફરિયાદ કરી છે કે મારા ટેલિફોન ટેપ કરવા સહિતના સર્વેલન્સનું કામ મુખ્યમંત્રી દ્વારા થઇ રહ્યું છે ત્યારે આ બાબતની તપાસ કરવા તેમણે મુખ્યસચિવને વિનંતી કરી છે.
- ગુજરાત ભવનમાં વારંવાર એકનો એક રૂમ ફાળવતાં મોઢવાડિયાનો સત્યાગ્રહ
- આખી રાત વેઇંટિંગના સોફા પર વિતાવી
મોઢવાડિયાએ ૬ એપ્રિલ ૨૦૧૨ના રોજ મુખ્યસચિવને નવી દિલ્હીથી જ પત્ર મોકલ્યો હતો અને તેમાં સમગ્ર બાબતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું છે કે, તેઓ ગત તા.૫ એપ્રિલે રાત્રે ૯.૩૦ વાગે ગુજરાત ભવન પહોંચ્યા ત્યારે કાઉન્ટર પરથી એવુ કહેવાયુ કે તેમને રૂમ નં.૧૪ની ફાળવણી કરાઇ છે. ત્યારે જ મેં મેનેજર રાવતને બોલાવીને કહ્યું હતું કે, મેં વારંવાર વિનંતી કરી છે કે મને મુખ્ય બિલ્ડીંગના પ્રથમ મજલે કોઇ રૂમ ફાળવી આપવો તો ત્યાં કેમ રૂમ ફળવાતો નથી ? મારે મિટિંગમાં જવાનું મોડું થતુ હોઇ મેં મેનેજરને કહ્યું હતું કે રેસિડેન્ટ કમિશનર કે મુખ્ય વહીવટી અધિકારીને પુછી મને રૂમ નં.૬ કે પ્રથમ માળે જે રૂમ ખાલી હોય તે ફાળવી આપવી. આમ, રાત્રે ૩ વાગે મારું કામ પતાવી પરત આવ્યો ત્યારે પણ મને રૂમ નં.૧૪ જ ફળવાયેલો હોવાથી વેઇટિંગ રૂમના સોફા પર બાકીના રાત વિતાવી હતી અને સવારે કોમન વોશરૂમ, બાથરૂમનો ઉપયોગ કર્યો હતો. દિવસે બાકીની કામગીરી પણ સોફા પર બેસીને કરી રહ્યો હોવા છતાં ગુજરાત ભવનના કોઇ જવાબદાર અધિકારી માત્ર પૃચ્છા કરવાનો વિવેક બતાવવા પણ આવ્યા નથી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે રેસિડેન્ટ કમિશનર ભરત લાલ અને મુખ્ય વહીવટી અધિકારી પંડયાના હાથમાં ગુજરાત ભવનનો વહીવટ આવ્યા પછી સમગ્ર ભવનમાં પ્રોટોકોલના થઇ રહેલા ભંગથી માંડીને હવે જાસૂસી જેવી પ્રવૃત્તિઓને અંજામ અપાઇ રહ્યો હોવાની વિગતો વણી લઇને જણાવ્યું છે કે, રૂમારા જેવા વિરોધપક્ષના પૂર્વ નેતા, વર્તમાન સિનિયર ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય રાજકીય પક્ષના પડાને ખુલ્લામાં સુવુ પડે અને તડીપાર વ્યક્તિઓ એક વર્ષ કરતાં વધુ સમયથી સળંગ સ્યુટ રૂમનો કબજો જમાવે, મુખ્યમંત્રીના ખાસ મહેમાનો માટે ખાસ વ્યવસ્થા થાય તથા ગુજરાત ભવનમાં ભરત લાલની હાજરીમાં અને તેમની દેખરેખમાં કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે તેની તપાસ માટે તટસ્થ તપાસ સમિતિ નિમવી જોઇએ.રૂ
ભરત લાલને કઇ લાયકાતથી રેસિડેન્ટ કમિશનર બનાવાયા ?
દિલ્હીના નિવાસી કમિશનર ભરત લાલની લાયકાત અંગે પ્રશ્ન ઉઠાવતા મુખ્યસચિવને લખેલા પત્રમાં મોઢવાડિયાએ જણાવ્યું છે કે, ભરત લાલ એવી કઇ લાયકાત ધરાવે છે કે તેમને જંગલ ખાતામાંથી ઊઠાવીને સીધા જ ગુજરાત સરકારના દિલ્હી ખાતેના રેસિડેન્ટ કમિશનર બનાવી દેવાયા ? તેની તપાસ કરશો તો ખબર પડશે કે તેઓ દિલ્હીમાં બેસીને કેવા મહાનુભાવોની કેવા પ્રકારની રૂસેવારૂ કરે છે.
ગુજરાત ભવનના રૂમ નં.૧૪માં બગીંગ સાધનોથી જાસૂસી
ગુજરાત ભવનમાં મુખ્ય બિલ્ડીંગના પ્રથમ માળે યોગ્ય રૂમ ફાળવવાની વારંવારની માગણીને નજરઅંદાજ કરી કાયમી ધોરણે જ જણે રૂમ નં. ૧૪ ફાળવવામાં આવે છે તેનું રહસ્ય ખોલતાં મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે, આ જ રૂમના દુરાગ્રહથી મને પૂરી શંકા છે કે ગુજરાત ભવનમાં મને ચોક્કસ રૂમ ફાળવવાનું કારણ રૂમમાં બગીંગ સાધનો ગોઠવીને મારી જાસૂસી કરવાનું છે. અગાઉ પણ અનેક વખત ફરિયાદ કરી છે કે મારા ટેલિફોન ટેપિંગ સહિતનું સર્વેલન્સ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા થઇ રહ્યું છે. આ બાબતે પણ ઘટતી તપાસ કરવા વિનંતી છે, તેમ તેમણે મુખ્યસચિવને જણાવ્યું છે.
એન્કાઉન્ટર કેસમાં તડીપારને ભવનમાં સ્યુટ રૂમ !
મોઢવાડિયાએ આરોપ મૂક્યો છે કે, રૂમની ફાળવણીમાં પ્રોટોકોલ જળવાતો નથી. ભાજપના કોઇ આગેવાન આવે તેને મેઇન બિલ્ડીંગમાં પ્રથમ માળે અથવા સ્યુટ રૂમ અપાય છે. એન્કાઉન્ટર કેસમાં ધરપકડ થયેલા અને તડીપાર અમિત શાહ એક વર્ષથી સ્યુટ રૂમ નં.૩નો કબ્જો રાખીને બેઠા છે. બીજા સ્યુટ રૂમનો ઉપયોગ પોતાના મહેમાનો માટે કરે છે. કયા નિયમો હેઠળ તડીપારને એક વર્ષથી આ સ્યુટ રૂમ ફાળવવામાં આવે છે ? એવો પ્રશ્ન તેમણે મુખ્ય સચિવને પુછયો છે.