અમદાવાદ, તા.૮
મણિનગર કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતી પોસ્ટ એજન્ટ અનસુયા હાલાણીની આત્મહત્યા અંગે તપાસ કરી રહેલી પોલીસને મહત્વની વિગતો મળી છે. જેમાં અનસુયાના પાસપોર્ટની તપાસને આધારે ખુલ્યું છે કે તે પાંચ દિવસ માટે અમેરિકા ગઇ હતી. જેથી પોલીસે તેના અમેરિકા જવાના કારણ અંગે તપાસ શરૂ કરી છે.
- અનસૂયાનું દેવું ચૂકવવા પતિએ રૂ. ૪ લાખ આપ્યા હતા
અનસુયા હાલાણી નામની મહિલા પોસ્ટ એજન્ટની આત્મહત્યા બાદ તેના પતિ મુકેશભાઇએ પોલીસ સ્ટેશનમાં અનસુયાનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો. પાસપોર્ટની તપાસમાં ખુલ્યું કે ૩૧ માર્ચની રાત્રે અમેરિકા ગઇ હતી અને ૫ એપ્રિલની રાત્રે પરત આવી હતી. તે અમેરિકા ક્યાં ઇરાદે ગઇ હતી? કોને મળી હતી? કોઇ વ્યક્તિ સાથે મળીને તેણે કૌભાંડ આચર્યું હતું કે કેમ? વગેરે બાબતે પોલીસ માટે પેચીદી બની છે.
મુકેશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી તે ચિંતામાં રહેતી હતી. કારણ કે તેને એલઆઇસી અને પોસ્ટમાં નુકશાન ગયું હતું. તેને મુકેશભાઇએ પોતાની પીએફમાંથી ચાર લાખ ઉપાડીને આપ્યા હતા. અનસુયાબહેને થોડા સમય બાદ પરત આપવાની વાત કરી હતી. જો કે છેલ્લાં એક માસથી ઘરે નાણાં લેવા માટે અનેક લોકો આવતા હોવાથી મુકેશભાઇએ આ અંગે પુછપરછ કરી હતી. અનસુયાનો મોટો પુત્ર પલ્લવ અમેરિકા રહે છે અને તેણે નેધરલેન્ડની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પણ થોડા સમય પહેલા છુટાછેડા થઇ ગયા હતા. જ્યારે નાનો પુત્ર વરૂણ દિલ્હીમાં રહે છે અને તે તબીબ છે.