અમદાવાદ,તા.૮
રાજયમાં ત્રણેક દિવસ ગરમીનો પારો નીચો આવી જતાં નાગરિકોને દસેક દિવસની તીવ્ર ગરમીથી રાહત મળી હતી. જોકે, રવિવારે ફરીથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન વધ્યું છે. વાતાવરણમાં સવારના સમયે ભેજના ઉંચા પ્રમાણ અને દિવસે તીવ્ર ગરમીથી બેવડી ઋતુનો અનુભવ કરતાં નાગરિકોને આજે બપોરે ફરીથી તીવ્ર ગરમીનો અહેસાસ થયો હતો. રવિવાર હોવાથી મોટાભાગના રાજમાર્ગો પર વાહન વ્યવહાર પાંખો રહ્યો હતો. રવિવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ૪૨ ડિગ્રી નોંધાયું હતું.
- સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૨, અમદાવાદમાં પારો ૪૦.૬ ડિગ્રી
જ્યારે અમદાવાદમાં પણ પારો એક ડિગ્રી વધીને ૪૦.૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે, દરિયાકિનારાના શહેરોમાં તાપમાન ઘટયું છે.અમદાવાદ શહેરમાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનનો પારો ૪૦ ડીગ્રી વટાવ્યો હતો. જેથી અમદાવાદીઓને શરીર દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. મોડી સાંજે ગરમી ઘટતાં લોકો ઘરની બહાર નીકળ્યાં હતાં અને કાંકરિયા, વસ્ત્રાપુર તળાવ, લો ગાર્ડન સહિતના સ્થળો રાત્રે લોકોની ભીડ જોવા મળી હતી. આજે ગરમીનું પ્રમાણ ૪૦.૬ નોંધાયું હતું.જોકે,લઘુત્તમ તાપમાનમાં પણ એકાદ ડિગ્રીનો ઘટાડો થયો હતો પરિણામે ગરમીથી લોકોએ થોડીક રાહત મેળવી હતી. રાજયમાં ઇડર અને અમરેલીમાં ૪૧. ૭ ડીગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત મોટાભાગના શહેરોનું તાપમાન ૪૦ ડીગ્રીની આસપાસ રહ્યું હતું. જોકે,સુરતમાં ગરમીનો પારો થોડોક નીચે રહ્યો હતો.અહીં ૩૫.૮ ડીગ્રી ગરમી નોંધાઇ હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર પણ ગરમીના સકંજામાં સપડાયેલું રહ્યું હતું. વડોદરામાં ૪૦.૨ ડીગ્રી, રાજકોટમાં ૪૦.૯ તાપમાન નોંધાયું હતું. પોરબંદર સહિતના દરિયાકિનારાના શહેરોમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે,ગરમીનું પ્રમાણ આજ પ્રમાણે જ જળવાયેલું રહેશે જેથી લોકોને ગરમીનો હજુંયે સામનો કરવો પડશે.