ક્લિનિક કેર - ડો. નિહારિકા મહેતા
મને હાઇપોથાઇરાઇડની સમસ્યા છે તો શું મારે હમણાં બાળક માટે પ્લાન ન કરવું જોઇએ?
જો હાઇપોથાઇરાઇડની સમસ્યા હોય તો આ પરિસ્થિતિમાં કંસીવ કરવામાં જ વિલંબ થતો હોય છે. નસીબજોગે કંસીવ થઈ જાય તો બાળક અનેક બીમારીઓનો ભોગ બનવાની શક્યતા પણ રહે છે. હાઇપોથાઇરાઇડની સમસ્યામાં બાળકને જન્મ આપવામાં અનેક મુશ્કેલી રહેલી છે, કારણ કે તેમાં ઓવરીના ઇંડાનું ઉત્પાદન નિયંત્રિત થઇ જાય છે. તેથી આ સમસ્યામાં પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં હાઇપોથાઇરાઇડનો ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે.
કંઇ ઇજા થાય તો મારું લોહી જલદી જામતું નથી અને બહુ લાંબા સમય સુધી બ્લીડિંગ થાય છે તો શું આ
સમસ્યા સાથે હું પ્રેગ્નન્સી પ્લાન કરી શકું?
લોહી જલદી જામતું ન હોય અને કોઇ પણ ઇજા થાય ત્યારે લાંબા સમય સુધી બ્લીડિંગ થતું હોય તો તેનો મતલબ છે કે તમને હિમોફિલિયા હોઈ શકે. હિમોફિલિયા એક એવી બીમારી છે જેમાં બીમાર વ્યક્તિનું લોહી જલદી જામતું નથી. આ અવસ્થામાં કોઇ સુધારો કર્યા વગર તમે પ્રેગ્નન્સી પ્લાન કરશો તો બાળકના જન્મ સમયે આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો, તેથી હિમોફિલિયાનો ટેસ્ટ કરવાવી ડોક્ટરની સલાહ લઇને જ આગળ વધવું હિતાવહ છે.મારે ચાર વર્ષની એક બેબી છે, પરંતુ આ પહેલાં મને બે વખત મિસકેરેજ થઇ ગયું હતું અને મારી ગર્ભાવસ્થા પણ
ગંભીર અવસ્થામાં જ ગુજરી છે તો શું મારે બીજા બાળક માટે વિચારવું જોઇએ?
મિસકેરેજ થવાનાં અનેક કારણો છે. શરૂઆતના સમયમાં વધુ ગર્ભનિરોધક ગોળીઓ લીધી હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે. તમારા કેસની વાત કરીએ તો તમને બે વખત મિસકેરેજ થઈ ગયું છે અને ત્રીજી પ્રેગ્નન્સીમાં પણ તમારી હાલત ગંભીર થઇ ગઇ હતી તો મારી સલાહ મુજબ તમારે હવે બીજા બાળક માટે પ્લાન ન કરવું જોઈએ, કારણ કે તે તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. જે મહિલાઓને નબળી નાળ, હાઈ બ્લડપ્રેશર અને વારંવાર ગર્ભપાતની સમસ્યા હોય તેણે આ પ્રકારનું જોખમ ન લેવું જોઇએ. તેમજ આ મુદ્દે એક વાર ડોક્ટરની સલાહ લઇ લેવી જેથી ફરી વાર આપ કોઇ મુશ્કેલીમાં ન મુકાઇ જાવ.
મિસકેરેજ થાય તે પહેલાં તેનાં લક્ષણોને જાણી શકાય ખરાં જેથી સાવધાની વર્તી શકાય?
શિશુની આસપાસનો તરલ પદાર્થ બહાર આવી જવાથી ગર્ભપાત થાય છે. ૨૦ ટકા ગર્ભપાત આ રીતે થાય છે. મોટા ભાગના ગર્ભપાત અંદર જ થઇ જાય છે અને માને તેના સંકેતનો ખ્યાલ પણ નથી આવતો. મિસકેરેજ હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડનીની સમસ્યાને લીધે પણ થાય છે. તેનાં લક્ષણોની વાત કરીએ તો કમરમાં અસહ્ય દુખાવો થાય છે, પેશાબ કરતી વખતે પણ દુખાવો થાય છે, પેટના નીચેના ભાગમાં પણ દુખાવો થાય છે, ભ્રૂણના હાર્ટબીટ અને મૂવમેન્ટ ઓછા થવા, વ્હાઇટ કે આછા ગુલાબી રંગનું ડિસ્ચાર્જ થવું. વગેરે લક્ષણો મિસકેરેજ થવાના જ સંકેત છે. જો આવા કોઈ સંકેતો જોવા મળે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઇએ.
શું ગર્ભાવસ્થામાં પરફ્યૂમ છાંટી શકાય? તેનાથી બાળકને નુકસાન થાય છે?
પ્રેગ્નન્સીમાં જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી અત્તર, ડિઓડરન્ટ જેવા સુગંધિત પદાર્થનો ઉપયોગ ન કરવો જોઇએ, તેમજ સુગંધિત સાબુથી નહાવું પણ ન જોઈએ, કારણ કે તે ગર્ભમાં વિકસતા બાળક માટે હાનિકારક નીવડે છે. તેના માટે પરફ્યૂમમાં રહેલું એસિટલ ઇથાઇલ ટેટ્રામિથાઇલ નામનું કેમિકલ જવાબદાર હોય છે. જે લગભગ બધાં જ પરફ્યૂમમાં અને ડિઓડરન્ટમાં હોય છે, આ કેમિકલ બાળકની મગજની નસોને ક્ષતિગ્રસ્ત કરી શકે છે અને તેના માનસિક વિકાસ પર પણ વિપરીત અસર કરે છે. આ સમય દરમિયાન પરફ્યૂમ સિવાય રૂમ ફ્રેશનર, કાર ફ્રેશનર વગેરે સ્પ્રેથી પણ બચવું જોઇએ.