નવી દિલ્હી, તા. ૯
કેન્સરને માત આપવા બદલ સચિનનાં યુવરાજને અભિનંદન
ભારતને વર્લ્ડચેમ્પિયન બનાવ્યાના બરાબર ૩૭૩ દિવસ બાદ યુવરાજસિંહ વધુ એક જંગ જીતીને આવ્યો છે. કેન્સરને માત આપી યુવરાજસિંહ ૭૪ દિવસ બાદ સોમવારે સવારે વતન પાછો ફર્યો હતો. યુવરાજના પાછા ફરતાંની સાથે જ સાથી ક્રિકેટરોએ તેને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું છે. સચિન તેંડુલકરે ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે 'ગેટ વેલ સૂન, વેલકમ બેક હોમ માય બ્રધર આફ્ટર વિનિંગ ટફ બેટલ વિથ કેન્સર' (ઝડપથી સાજો થઈ જા, મારા ભાઈ કેન્સર સામેનો કપરો જંગ જીત્યા બાદ વતનમાં તારું સ્વાગત છે.')
બીજી તરફ વીરેન્દ્ર સેહવાગ અને કેવિન પીટરસને આ સપ્તાહમાં યુવરાજને મળવા જવાનું જણાવ્યું છે. સેહવાગે જણાવ્યું હતું કે 'યુવરાજના પાછા ફરવાથી હું ખૂબ જ ખૂશ છું. અમે તેના માટે દુઆ કરી હતી, આગામી બે-ત્રણ દિવસમાં તેને મળવા જઇશ. યુવરાજ ઝડપથી પાછો ફરશે તેવો મને વિશ્વાસ છે.'
કેવિન પીટરસને જણાવ્યું હતું કે 'યુવરાજ સાથે મેં રવિવારે રાત્રે જ ફોન ઉપર વાત કરી હતી. યુવરાજે મક્કમ મનોબળ વડે કેન્સરને માત આપી છે. હું તેના ઘરે મળવા માટે જઇશ.'
'યુવી માટે તો વર્લ્ડકપની જીત જ વધુ મહત્ત્વની'
યુવરાજના પિતા યોગરાજસિંહે જણાવ્યું હતું કે યુવરાજે મને કહ્યું હતું કે કેન્સર સામેના વિજય કરતાં તેના માટે વર્લ્ડકપ વિજય વધુ મહત્ત્વનો છે. યુવરાજ પુનરાગમન માટે ઉતાવળ કરે નહીં તેવો મારો અભિપ્રાય છે.