નવી દિલ્હી 10, એપ્રિલ
સેના પ્રમુખ જનરલ વીકે સિંહ વિરૂદ્ધ માનહાનિનો દાવો કરનારા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ તેજિન્દર સિંહની અરજી પર આજે મંગળવારે સુનવણી યોજાશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેજિન્દર સિંહને મજબૂત પુરાવાઓ રજૂ કરવાનું કહ્યું હતું.
રિટાયર્ડ લેફનેન્ટ જનરલ તેજીન્દર સિંહ આજે ફરીથી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થશે. કોર્ટે અગાઉની સુનાવણી દરમ્યાન તેમને કહ્યું હતું કે માનહાનિના દાવાના સંદર્ભમાં તેઓ પૂરાવા રજુ કરે.
મહત્વપૂર્ણ છે કે અગાઉ સેનાધ્યક્ષ જનરલ વી.કે.સિંહે એવો ખુલાસો કર્યો હતો કે એક પૂર્વ લેફ્ટનેન્ટ જનરલે તેમને સેના માટે હલકી કક્ષાની ગાડીઓની ખરીદીનો ઓર્ડર આપવા માટે રૂપિયા 14 કરોડની લાંચની ઓફર કરી હતી. જો કે સેનાધ્યક્ષે લેફનેન્ટ જનરલ તેજીન્દરસિંહનું નામ લીધું ન હતું. પરંતુ સંરક્ષણપ્રધાન એ.કે.એન્ટોનીએ સંસદમાં કહ્યું હતું કે સેનાધ્યક્ષે એ.કે.એન્ટોનીને કહ્યું હતું કે તેજીન્દર સિંહ દ્વારા લાંચની ઓફર કરવામાં આવી હતી.