ગાંડી કુકરીનું ડહાપણ - ચતુરસેન
“ફાંકેરામ, તમને પેલા મમતાવાળા બ્રેકિંગ ન્યૂઝ મળ્યા કે નહીં?”
“મમતા નવો ઇતિહાસ લખશે”
“ઓહો! મમતા પેઇન્ટર હોવાનું તો સાંભળ્યું હતું, પણ લેખક-ઇતિહાસકાર પણ છે... બહુ સારું કહેવાય.” ફાંકેરામ રાજી થયો.
“અરે લખવાના એટલે ઇતિહાસનો અભ્યાસ કરીને, સંશોધન કરીને નહીં... નવો ઇતિહાસ સર્જવાનાં છે.” ચતુરસેને ફોડ પાડયો.
“મમતાનું પણ ફરી ગયું છે. ડાબેરીઓનું સાડા ત્રણ દાયકાનું શાસન હટાવીને ઇતિહાસ તો સર્જી દીધો હવે બીજો કયો ઇતિહાસ સર્જવા ક નીકળ્યાં છે?”
“ફાંકેરામ, પહેલાં પૂરી વાત તો સાંભળ... મમતાએ પશ્ચિમ બંગાળની શાળામાં ભણાવાતો ઇતિહાસ ફરી લખવાની ઝુંબેશ ઉપાડી છે. પાઠયપુસ્તકમાંથી કાર્લ માર્ક્સ અને ફેડરિક એન્જલ્સ વિશેની વાતો કાઢી નાખવાની ભલામણ કરી છે.”
“મતલબ, મમતા પણ ઇતિહાસને નવલકથા ગણીને તેમાં ફેરફાર કરાવનારા સંકીર્ણ માનસિકતા ધરાવતા કટ્ટરવાદીઓના રસ્તે જ જઈ રહ્યાં છે, એમને?”
“પણ બંગાળનો બૌદ્ધિક વર્ગ આવી સરમુખત્યારી ચલાવી લેશે?” ચતુરસેન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.
શું નવીનમાં છે?
“ફાંકેરામ, શું છે નવીનમાં?”
“નવીન પોતે જ સલવાણા છે...બીજું તો શું કહું?”
“અરે હા, નવીન પટનાયકે માંડ માંડ ઓડિશામાં પોતાની રાજકીય સ્થિતિ મજબૂત બનાવી ત્યાં બિચારાને માઠી બેઠી.”
“હા, સામાન્ય નાગરિક તો ઠીક રાજ્યના ધારાસભ્યને પણ નકસલવાદીઓ ઉઠાવી જાય એ તો કેટલી ગંભીર સ્થિતિ ગણાય?”
“એમાંય વળી ધારાસભ્યને છોડાવવા માટે નકસલવાદીઓને સરકારે જેલમુક્ત કરવા પડયા છે. નકસલવાદીઓને ફાવતું જડયું છે. હવે નકસલવાદીઓ પોતાને સિકંદર સમજવા માંડશે. તેમના દિમાગમાં રાઈ ભરાઈ જશે.” ચતુરસેને ચિંતા વ્યક્ત કરી.
“ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય, એ ખોટું ને...?”
“નવીને હવે નકસલવાદીઓને સીધા કરવા જરૂર કંઈક નવીન કરવું પડશે!”
“હા, કેન્દ્રીય સ્તરે પોતાનો પ્રભાવ દેખાડવા માટે ભાઈ, આતંકવાદીઓને સીધા કરવા માટેના એનસીટીસીનો તો વિરોધ કરીને બેઠા છે. એટલે હવે તો કંઈક નવીન જ કરવું પડશે.”
purti.ardhsaptahik@sandesh.com