વડોદરા, તા.૧૦
શહેરના રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. આજે સવારના જ અરસામાં જૂનીગઢી વિસ્તારમાં તોફાને ચડેલી ગાયે શિંગડા મારીને ઉછાળી દેતા એક વૃધ્ધનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયું હતું જયારે કે ચાર જણા ઘાયલ થતા તેઓને સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તોફાને ચડેલી આ ગાયે આખા વિસ્તારને બાનમાં લઈ લીધો હતો.
- જૂનીગઢી વિસ્તારમાં ગાય તોફાને ચઢી
- ઘાયલ થયેલા ચાર જણાંને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા
છેલ્લા ઘણા સમયથી શહેરના માર્ગો પર ઢોરો અને કુતરાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે શહેરમાં ઢોરોના ટોળા છુટ્ટા રખડતા મૂકી દેવાતા છાશવારે અકસ્માતની ઘટનાઓ બને છે. આજે સવારના અરસામાં જૂનીગઢી વિસ્તારમાં અચાનક એક ગાય તોફાને ચડી હતી. જેના કારણે આખા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. તોફાને ચઢેલી ગાયે ત્યાંથી પસાર થતા યાકુતપુરા સ્લમ ક્વાટર્સમાં રહેતા હાજી ઇસ્માઇલ ધોબી (ઉં.વ.૯૨) સહિત ચાર રાહદારીઓને અડફેટે લીધા હતા.
જેમાં વૃદ્ધને શિંગડામાં ભરાવી ઉછાળી દેતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાંજ પટકાયા હતા. ગંભીર ઇજાઓ સાથે વૃધ્ધને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને જમનાબાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.