અમદાવાદ, તા. ૧૦
રાજ્યની પી.જી.મેડિકલ-ડેન્ટલ કોલેજમાં ૨૫ ટકા મેનેજમેન્ટ કવોટા હોવો જોઇએ તેવો કાયદો છે, આમછતા રાજ્યની એક મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજોમાં ૫૦ ટકા મેનેજમેન્ટ કવોટા ફાળવવાની શંકાસ્પદ સહમતિપૂર્વકની મંજૂરી આપવામાં આવી છે. જેનેકારણે હજારો વિદ્યાર્થીઓની કાર્રિકદી ભયમાં મૂકાઇ ગઇ છે. આઘાત પમાડે તેવી બાબતએ છે કે મેડિકલ-ડેન્ટલ કોલેજોની કાર્ટેલ એવી છે કે અન્યાય થતો હોવા છતાં વિદ્યાર્થીઓ-વાલીઓને મૌન ધારણ કરવાની ફરજ પડી છે.
- અમુક કોલેજોમાં ૫૦ ટકા મેનેજમેન્ટ કવોટા અને અમુક કોલેજોમાં ૨૫ ટકા મેનેજમેન્ટ કવોટા
- કાર્રિકદી રોળાઈ જવાના ભયે લાચાર વિદ્યાર્થીઓ, વાલીઓનું મૌન
સ્વનિર્ભર પી.જી.મેડિકલ-ડેન્ટલની બેઠકો ભરવા માટે રાજયનો કાયદો ૨૫ ટકા મેનેજમેન્ટ કવોટા અને ૭૫ ટકા જનરલ મેરીટ છે. આમછતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સી.યુ.શાહ મેડિકલ કોલેજ દ્વારા છેલ્લા બે વર્ષથી પી.જી.મેડિકલમાં પચાસ ટકા મેનેજમેન્ટ કવોટાથી ભરવામાં આવે છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી મેડિકલ ડીન બી.ડી.ગુપ્તાએ જણાવ્યું હતું કે સી.યુ.શાહ કોલેજમાં પી.જી.મેડિકલની બેઠકો પચાસ ટકા મેનેજમેન્ટ કવોટાથી ભરવામાં આવી હતી. પી.જી.ડેન્ટલમાં પણ અમદાવાદ ડેન્ટલ કોલેજ, કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીને પચાસ ટકા પ્રમાણે મેનેજમેન્ટ કવોટાની બેઠકો ભરવી તેવી સહમતિ સાથેની મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ સ્વનિર્ભર ડેન્ટલ અને મેડિકલની સ્નાતક કક્ષાની બેઠકો
૨૫ ટકા મેનેજમેન્ટ કવોટા અને ૭૫ ટકા જનરલ મેરિટથી ભરાઇ છે. પ્રવેશ સમિતિના સૂત્રોના કહ્યા પ્રમાણે આ કાયદામાં કોઇ ફેરફાર કરાયો નથી. આવા સંજોગોમાં મેનેજમેન્ટ કવોટાની બેઠકો કેટલીક કોલેજો ૨૫ ટકા પ્રમાણે અને અમુક કોલેજો ૫૦ ટકા પ્રમાણે ભરતી હોવાની સ્થિતિ સર્જાઇ છે. જેને લીધે એક જ રાજ્યમાં સ્વનિર્ભર કોલેજો માટે બે કાયદા હોય તેવી પરિસ્થતિ ઊભી થઇ છે. આશ્ચર્યની વાત એ છે કે વિધાનસભામાં કાયદો પસાર થયો હોવાછતા સરકારના પેટનું પાણી હાલતું નથી અને આખી પ્રક્રિયામાં રાજ્ય સરકાર પણ રમત રમી રહી હોવાનું મનાય છે.