નવી દિલ્હી, તા. 11
આગામી ૨૪ કલાકનો ગાળો ચણા તેમજ સરસવ વાયદા માટે મહત્વનો સાબિત થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકાર આગામી એકાદ દિવસમાં ચણા અને સરસવ વાયદામાં કામકાજ ચાલુ રાખવા કે પ્રતિબંધ મૂકવો તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેશે.
સૂત્રોના મતે સરકાર ચણા અને સરસવ વાયદા કામકાજ ઉપર રોક લગાવા ભલામણ કરે તેવી વકી છે. ચણા અને સરસવના વાયદાના ભવિષ્યને લઈને કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયમાં મહત્વની બેઠક મળનાર છે. આ બેઠક દરમિયાન વાયદા બજાર નિયામક ફોર્વર્ડ માર્કેટ કમિશન તેનો રીપોર્ટ સરકારને સોંપશે.
સરકાર પણ બજેટ સત્રના બીજા ચરણ પૂર્વે ચણા અને સરસવ વાયદા કામકાજ ઉપર પ્રતિબંધનો નિર્ણય લેવા વિચારણા કરી રહી છે. બન્ને મહત્વની કોમોડિટીની કિંમતોમાં ભારે ભાવવધારાથી કેન્દ્ર પણ ચિંતીત જણાય છે. ચણા અને સરસવમાં કૃત્રિમ ભાવ ઉછાળાની શંકા સરકાર સેવી રહી છે. આ અગાઉ ગુવાર વાયદા અને ગુવાર સીડમાં બેફામ સટ્ટાખોરી થતાં વાયદા પંચે નવા ગુવારના નવા વાયદા કામકાજ ઉપર રોક મૂકી દીધી હતી.