હનુમાન ગાથા-૫૭ - ડો. અશોક નારાયણ
સીતા માતાને મુક્તિ અપાવવા માટે સેના બધી જ રીતે સજ્જ છે. હનુમાનજીએ લંકાના કિલ્લાની સુરક્ષાને પણ છિન્નભિન્ન કરી નાખી અને રાક્ષસોની સેનાનો ચતુર્થાંશ ભાગનો પણ નાશ કર્યો છે. આ કાર્ય અદમ્ય સાહસ અને બળથી જ થઈ રહ્યું છે. આ માટે જામ્બવન સહિત બધા જ કપિમાનવે શ્રી રામને જ શ્રેય આપ્યું. આ પ્રભુના મંગલકાર્યમાં રીંછ, વાનર સૌ ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે
પ્રભુની અસીમ કૃપાથી મારું તે મહાન કાર્ય પૂર્ણ થયું જેના માટે જામ્બવને મને મોકલ્યો હતો. હવે હું ફરીથી મારી સામાન્ય સ્થિતિમાં આવી ગયો. આવી સામાન્ય સ્થિતિમાં મને કોઈ અપરિચિત વ્યક્તિ જુએ તો મને એક નાનોસરખો દુર્બલ વાનર જ સમજે. જેમ સીતા માતાએ મને જાણ્યો હતો. ત્યારે તો શુકે છુપાવેશમાં રામસેનાનું નિરીક્ષણ કરીને રાવણને કહ્યું હતું,
જેહિં પુર દહેઉ હતેઉ સુત તોરા
સકલ કપિન્હ મહઁ તેહિ બલુ થોરા
જેણે નગરને બાળી નાખ્યું અને તારા પુત્ર (અક્ષય કુમાર)નો વધ કર્યો તેનું બળ તો બધા વાનરો કરતાં ઓછું છે.
કોઈ મને જોઈને કહી શકે નહીં કે મેં લંકામાં ભીષણ પરાક્રમ કર્યું હતું. જે દેવતાઓ માટે પણ દુર્લભ હતું અને વાનર તો જ્યાં ત્યાં પોતાના બળનું પરાક્રમ કરતા જ રહે છે, પણ હું તો દિવસ-રાત મારા પ્રભુના ચરણોમાં પડયો રહું છું, જાણે તો બીજું કંઈ કામ જ નથી. હવે રામ કથામાં મારું વર્ણન ક્યાંક ક્યાંક જ આવશે. જ્યારે મારા પ્રભુને મારી ખાસ આવશ્યકતા હશે ત્યારે હું ફરી કોઈને કોઈ માધ્યમ દ્વારા મારા પૌરુષના બળને યાદ કરીશ. જે મારા પ્રભુએ મારામાં સુરક્ષિત રાખ્યું છે. ઘણુંખરું આ યાદ અપાવવાનું કામ જામ્બવને કર્યું છે. એના સિવાય એમના પિતા બ્રહ્માની રચના કોણ સમજી શકે છે? ત્યાર પછી ભગવાન રામે સુગ્રીવને કહ્યું હવે વાર શાની છે? વાનરોને કૂચ કરવાની આજ્ઞા આપો.
અબ બિલંબુ કેહિ કારન કીજૈ
તુરત કપિન્હ કહુઁ આજુસ દીજૈ
હવે કયા કારણથી વિલંબ થાય છે? હવે જલદી વાનરોને કૂચ કરવાની આજ્ઞા આપવી જોઈએ. બસ પછી તો શું હતું? તરત સુગ્રીવે બધા વાનરોને બોલાવ્યા. એ જોઈને ભગવાન રામ બહુ જ પ્રસન્ન થયા. એમણે આશીર્વાદ આપ્યા. પ્રભુની કૃપાદૃષ્ટિ મેળવી બધા વાનર અને રીંછમાં ખૂબ જ બળ અને પરાક્રમ પ્રાપ્ત થયાં.
દેખી રામ સકલ કપિ સેના
ચિતઈ કૃપા કરિ રાજિવ નૈના
રામે આખી કપિ સેના જોઈ. તેમણે પોતાનાં કમલ-નયનોની કૃપાદૃષ્ટિથી જોઈ.
રામકૃપા બલ પાય કપિંદા
ભયે પચ્છજુત મનહુઁ ગિરિંદા
બધા કપિઓ રામકૃપાનું બળ મેળવી જાણે પાંખવાળા પર્વતો થઈ ગયા. ત્યારે આનંદિત થઈ ભગવાન રામે લંકા પર ચઢાઈ કરવા માટે પ્રયાણ કર્યું. દેવતાઓ આનંદથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સિદ્ધ-ચારણ, નાગ, કિન્નર, ઋષિમુનિ પોતપોતાના સામર્થ્ય મુજબ સ્તુતિ કરવા લાગ્યા. છેવટે એમનાં બધાં દુઃખોના નિવારણનો સમય નજીક આવી ગયો હતો. સારા શુકન થવા માંડયા. આમ તો મારા પ્રભુ જે પણ કાર્ય કરે છે તે મંગળ સિવાય બીજંુ કાંઈ જ હોય નહીં. પ્રભુનું કાર્ય સ્વયં શુભ શુકન છે.
અનુવાદઃ પ્રતિભા રાવલજાસુ સકલ મંગલમય કીતી તાસુ પયાન સગુન યહ નીતી જે પ્રભુનાં બધાં જ કાર્યો મંગળમય હોય છે, એમનું પ્રયાણ સ્વયં શુકન હોય છે.
તો પણ શુકનો દ્વારા સીતા માતાને ખબર પડી ગઈ કે પ્રભુએ લંકા પર આક્રમણનો પ્રારંભ કર્યો છે. રાવણને પણ સંકેત મળ્યો કે હવે તેના ઉદ્ધારનો સમય નજીક છે.
મારા પ્રભુ રામ સ્વેચ્છાથી મારા ખભા પર બિરાજમાન થયા અને એમની આજ્ઞાથી ભાઈ લક્ષ્મણ અંગદના ખભા પર બિરાજમાન થયા. આખી કપિસેના ઘણા ઉત્સાહથી પ્રભુના નેતૃત્વમાં સિંહગર્જના કરતી મહેન્દ્ર પર્વતની પાસે સમુદ્રકિનારે પહોંચી. પ્રભુએ આજ્ઞા કરી કે અહીં જ પડાવ કરો અને આ અગાધ સમુદ્રને કેવી રીતે પાર કરવો તેની ચર્ચા-વિચારણા કરો.
આ પછી પ્રભુ ફરીથી સીતા માતાના વિરહાગ્નિમાં ઘણા દુઃખી થઈ ગયા અને શોકથી સંતપ્ત થયા. સીતા માતાના જીવતા રહેવાનો સમય રાવણે નક્કી કર્યો હતો તે સમય વીતી ન જાય તેની ભગવાન રામને ચિંતા હતી. ત્યાં સુધીમાં દિવસ આથમી ગયો અને રાત્રે સૌએ વિશ્રામ કર્યો.
મમ પન સરનાગત ભય હારી
અહીં લંકામાં તો બચાઓ બચાઓ કરતા હતા.
ઉહાઁ નિસાચર રહહિં સસંકા
જબ તેં જારિ ગયઉ કપિ લંકા
ત્યાં લંકામાં જ્યારથી લંકાદહન થયું ત્યારથી રાક્ષસો ખૂબ ચિંતામાં રહેતા હતા.
જાસુ દૂત બલ બરન ન જાઈ
તેહિ આયે પુર કવન ભલાઈ
જેના દૂતના બળનું વર્ણન નથી થતું એમનું નગરમાં આવવાથી કોની ભલાઈ થવાની છે?
મંદોદરી પણ ચિંતામાં હતી અને એવા મતની હતી કે સીતાને સન્માન સાથે રામની પાસે મોકલવા જોઈએ.
સમઝત જાસુ દૂત કઈ કરની
સ્ત્રવહિં ગર્ભ રજનીચર ઘરની
તાસુ નારિ નિજ સચિવ બોલાઈ
પઠવહુ કંત જો ચહહુ ભલાઈ
જેમના દૂતનું કાર્ય જાણીને રાક્ષસ-પત્નીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય, જો તમે ભલું ઇચ્છતા હો તો એમની નારીને તમારા સચિવને બોલાવીને એમની સાથે મોકલી આપો.
મંદોદરીએ તો ત્યાં સુધી કહ્યું હતું,
સુનહુ નાથ સીતા બિન દીન્હેં
હિત ન તુમ્હાર શમ્ભુ અજ કીન્હેં
હે નાથ, સાંભળો. સીતાને રામને સોપ્યા વગર શંભુ અને બ્રહ્મા પણ તમારું હિત નહીં કરે.
રાવણે સભા ભરી. ચિંતા તો એમને પણ હતી. તેઓ આશ્ચર્યચકિત હતા કે એક વાનરે કેવી રીતે સમુદ્ર પાર કર્યો અને લંકાના દુર્ગમ કિલ્લાની અંદર પ્રવેશ કર્યો અને સીતા માતાને મળ્યો. આટલા બધા રાક્ષસોનો વિનાશ કરી લંકાને બાળીને તોડી પાડી. એમને વિશ્વાસ હતો કે જેનો દૂત આ બધું કાર્ય કરે છે એ રામ અને લક્ષ્મણ સેના સહિત સમુદ્ર પાર કરવાની કોઈ ને કોઈ યુક્તિ જરૂરથી શોધી કાઢશે. રાવણે આવી વિષમ પરિસ્થિતિમાં શું થાય તેવી સલાહ માંગી.
પણ ત્યાં તો મંત્રી હતા જ ક્યાં? બધા જ ખુશામતખોર હતા. ખુશામતિયાઓની આપેલી સલાહ વિનાશકારી હોય છે. ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે,
સચિવ બૈદ ગુરુ તીનિ જૌં પ્રિય બોલહિં ભય આસ
રાજધર્મ તન તીનિ કટ હોય બેગહીં નાશ
સચિવ, વૈદ્ય અને ગુરુ એ ત્રણે જો ભયને કારણે પ્રિય બોલે છે તો રાજધર્મ અને શરીરનો જલદી નાશ થાય છે.
બધા મુખ્ય રાક્ષસવીરોએ રાવણના અને પોતાના ગુણગાન ગાયા. એકે કહ્યું કે તમારે કોઈ જ પરિશ્રમ કરવાની જરૂર નથી. ફક્ત મેઘનાથને આ કામ સોંપી દો. એમણે તો ઇન્દ્ર સામે પણ વિજય પ્રાપ્ત કર્યો છે. એમના માટે હનુમાન, સુગ્રીવ અને રામ-લક્ષ્મણ સામે જીત મેળવવી શું મોટી વાત છે? બીજા વીર રાક્ષસોમાંથી દરેક જણે કહ્યું હું એકલો જ રામ-લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાનને જીતવા માટે સમર્થ છું. તમે બધા નિશ્ચિંત રહો. એક જણે તો એવો ઉકેલ પણ બતાવ્યો કે રાક્ષસ સેનાની એક ટુકડી આર્યોનો વેશ ધારણ કરી રામ-લક્ષ્મણ પાસે જાય અને કહે કે અમે ભરતે મોકલેલા સૈનિકો છીએ. એમના પર વિશ્વાસ કરી રામ અને લક્ષ્મણ તરત લંકા પર ચઢાઈ કરશે અને ત્યારે રાક્ષસો તેમનું કામ પતાવી દેશે.
એક વિભીષણે નીતિપૂર્વકની યોગ્ય સલાહ આપી. એમણે કહ્યું હનુમાનનું બળ-પૌરુષ જોયા બાદ દુશ્મનની અવગણના કરવી જોઈએ નહીં અને જે શ્રીરામે એકલાએ ખર, દૂષણ અને ત્રિશિરા સાથે ચૌદ હજાર રાક્ષસોને મારી નાંખ્યા છે તેમની અવગણના કેમ કરાય? વિભીષણે એમ પણ કહ્યું કે રાવણે સીતાનું હરણ કર્યું તે અયોગ્ય હતું. એમાં શ્રીરામનો કોઈ જ વાંક ન હતો. શૂર્પણખાએ રામ અને સીતા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો તેનો લક્ષ્મણે દંડ આપ્યો. ખર, દૂષણ વગેરેએ શ્રીરામ પર આક્રમણ કર્યું હતું ત્યારે શ્રીરામે યુદ્ધમાં તેમનો વધ કર્યો એના માટે શ્રીરામને અપરાધી કે દોષી ગણી શકાય નહીં. એટલે યોગ્ય તો એ જ છે કે રામને સીતાજી પાછા સોંપી દેવાં જોઈએ નહિતર પછી લંકાએ યુદ્ધનું ભયંકર પરિણામ ભોગવવું પડશે.
ત્યાર પછી વિભીષણે રાવણના મહેલમાં જઈ રાવણને ભગવતી સીતા માટે સમજાવ્યા હતા. એનું આખું વર્ણન ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં કર્યું છે.
તાત રામ નહિં નર ભૂપાલા ભુવનેશ્વર કાલહુ કર ડાલા હે તાત! રામ કોઈ મનુષ્ય રાજા નથી, તે તો આખા વિશ્વના ભગવાન છે અને કાળના પણ કાળ છે. બ્રહ્મ અનામય અજ ભગવંતા વ્યાપક અજિત અનાદિ અનંતા રામ અનામય, અજન્મા ભગવાન છે, જે સર્વવ્યાપક, અજેય, અનાદિ અને અનંત છે.ગો દ્વિજ ઘેનુ દેવ હિતકારી કૃપાસિંધુ માનુષ તનુ ધારીતેઓ ગાય, બ્રાહ્મણ અને દેવતાઓના હિતકારી છે. તેઓ કૃપાસાગર છે અને એમણે જગતના કલ્યાણ માટે મનુષ્યનો અવતાર ધારણ કર્યો છે.