ન્યૂયોર્ક 13, એપ્રિલ
શાહરુખને ન્યૂયોર્કનાં એરપોર્ટ પર બે કલાક સુધી અટકાયત હેઠળ રખાયો હોવા છતાં તેણે તેની લાજવાબ રમૂજવૃત્તિ જાળવી રાખતાં આ ઘટના અંગે એવી પ્રતિક્રિયા આપી હતી કે, "જ્યારે પણ મને એમ લાગવા માંડે કે હું ખૂબ અહંકારી થઇ ગયો છું ત્યારે હું હંમેશાં અમેરિકાનો પ્રવાસ કરી લઉં છું. અહીંનાં ઇમિગ્રેશન અધિકારીઓ તમારા સ્ટારડમની હવા કાઢી નાખે છે. તેઓ મને કાયમ મારી ઊંચાઈ પૂછે છે અને હું કાયમ ખોટું બોલું છું કે મારી ઊંચાઈ પાંચ ફૂટ, ૧૦ ઇંચ છે, હવે હું વધુ સાહસિક થઇશ, તેઓ મને મારો રંગ પૂછશે તો હું વ્હાઇટ જ કહીશ."
કિંગખાને યેલ યુનિર્વિસટીના સ્ટુડન્ટ્સને સંબોધતી વેળાએ પણ એરપોર્ટ પર તેની અટકાયત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "મને તે બધું સારું લાગ્યું, કેમ કે મારી સાથે તેવું કાયમ થાય છે."
અમેરિકાની 'મિકેનિકલ' માફી પૂરતી નથી : ભારત
બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખખાનની ન્યૂયોર્કનાં એરપોર્ટ પર અટકાયત અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભારતે જણાવ્યું છે કે આ રીતે અટકાયત કરવી અને માફી માગી લેવી એ અમેરિકાની આદત બની ગઇ છે, જે હવે અસહ્ય છે. ભારત અમેરિકા સમક્ષ સર્વોચ્ચ સ્તરે આ મુદ્દો ઉઠાવશે.
વિદેશપ્રધાન એસ. એમ. ક્રિષ્નાએ મોસ્કોથી કહ્યું હતું કે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા (સીજીઆઇ)ની દરમિયાનગીરી બાદ શાહરુખને ઇમિગ્રેશન ક્લિયરન્સ અપાયું હતું અને તે પછી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના સત્તાવાળાઓએ સીજીઆઇની માફી માગી હતી, પરંતુ આ યોગ્ય નથી. અટકાયત કરવી અને પછી માફી માગી લેવી એ અમેરિકાની આદત બની ચૂકી છે તેથી હવે અમેરિકાએ માફીથી વિશેષ કોઇ પગલાં લેવાં પડશે.
અમેરિકી સત્તાવાળાઓ દ્વારા શાહરુખની અટકાયતને અસ્વીકાર્ય ગણાવતાં ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે, "અમેરિકાનું આવું વર્તન અસ્વીકાર્ય છે અને અમે તેને વખોડી કાઢીએ છીએ."
અમેરિકી એરપોર્ટ પર અગાઉ આ અગ્રણી ભારતીયોની પણ અટકાયત થઈ ચૂકી છે
જ્યોર્જ ફર્નાન્ડિસ : ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસનું વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩માં વોશિંગ્ટનનાં ડુલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ટ્રિપ-સર્ચ કરાયું હતું, જે અંગે તેમણે અમેરિકાના તત્કાલીન નાયબ વિદેશપ્રધાન સ્ટ્રોબ તાલ્બોટ્ટને ફરિયાદ કરી હતી.
ડો. એપીજે અબ્દુલ કલામ : ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામ ૨૦૦૯માં ન્યૂયોર્કની મુલાકાતે જઇ રહ્યા હતા ત્યારે દિલ્હી એરપોર્ટ પર જ એક અમેરિકન એરલાઇનના સ્ટાફે તેમની જડતી લીધી હતી.
ત્યાર બાદ ગત વર્ષે ન્યૂયોર્ક એરપોર્ટ પર એક દિવસમાં બે વખત તેમનું જેકેટ અને શૂઝ કઢાવીને તેમની તલાશી લેવાઇ હતી.
મીરા શંકર : ૨૦૦૯થી ૨૦૧૧ દરમિયાન અમેરિકા ખાતેના ભારતીય એમ્બેસેડર રહેલાં મીરા શંકરની ડિસેમ્બર, ૨૦૧૦માં મિસિસિપી એરપોર્ટ પર તલાશી લેવાઇ હતી.
પ્રફુલ્લ પટેલ : સપ્ટેમ્બર, ૨૦૧૦માં તત્કાલીન નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલની શિકાગોના એરપોર્ટ પર અમેરિકી ઇમિગ્રેશન સત્તાવાળાઓએ પૂછપરછ કરી હતી. પ્રફુલ્લ પટેલનું નામ અને તેમની જન્મતારીખ અમેરિકન વોચલિસ્ટમાં સામેલ અન્ય એક પ્રફુલ્લ પટેલ સાથે મેચ થતાં તેમની પૂછપરછ થઇ હતી.
હરદીપ પુરી : યુએન ખાતેના ભારતીય દૂત હરદીપ પુરીએ ડિસેમ્બર, ૨૦૧૦માં હ્યુસ્ટન એરપોર્ટ પર તેમની પાઘડી ઉતારવાનો ઇનકાર કર્યા બાદ તેમને એરપોર્ટના હોલ્ડિંગ રૂમમાં ૩૦ મિનિટથી વધુ સમય સુધી અટકાયત હેઠળ રખાયા હતા.