આજકાલ - માલિની રાવલ
આંખથી માંડી પગ સુધી શરીરનાં અનેક અંગ પર આક્રમણ કરતી ડાયાબિટીસની બીમારી વિશાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં ચેતનાર વ્યક્તિ તેને કાબૂમાં રાખી આરામની જિંદગી જીવી શકે છે. જો કે એના માટે આપણી ખાણી-પીણી અને રહેણીકરણીની સ્ટાઈલ બદલીએ તો આ રાજરોગ ઉપર કાબૂ મેળવી શકીએ અને તેના માટે બસ આટલું કરો.
આપણા દેશના શહેરી વિસ્તારમાં આઠથી દસ ટકા વસતી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જેવા મહાવ્યાધિથી પીડાય છે. ઘણાં તેને શુદ્ધ ગુજરાતીમાં મીઠી પેશાબ પણ કહે છે. આ રોગની કડવી વાસ્તવિકતા એ છે કે, તે આવતાં વર્ષોમાં આપણું જીવતર બગાડી શકે છે, કારણ કે એક વાત પુરવાર થઈ ચૂકી છે કે, અન્ય દેશની પ્રજા કરતાં ભારતીયોને ડાયાબિટીસ વધુ પડતી પ્રજામાં લાગુ પડવાની શક્યતા વધુ છે. આપણું જૈવિક (જિનેટિક) બંધારણ જ એવું છે કે, આ બલા આપણને આસાનીથી વળગી જાય, કારણ કે આપણી જીવનશૈલી જ એવી છે.ળ
દરેક મશીનને ચાલવા માટે ઇંધણ જોઈએ. આ ઇંધણ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. માણસના શરીરને એક મશીન ગણીએ તો પોષક દ્રવ્યોથી થતાં ફેરફારોની ક્રિયા એટલે કે ચયાપચય (મેટાબોલિઝમ) માટે એને પણ ઇંધણ લાગે. શરીરને આ ઇંધણ આપણા ખોરાકમાંથી મળે. ખાસ તો કાંજીવાળા પદાર્થમાંથી મળતું ગ્લુકોઝ એ આપણા શરીરનું બળતણ.
કુદરત નામના જાદુગરે આપણા શરીરમાં ઘણા ચમત્કાર ભર્યા છે. આવો એક ચમત્કાર એટલે શરીરમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન. આપણને ભૂખ લાગે અને મગજ સિગ્નલ મોકલે એમ ભાવતાં ભોજન આરોગી લીધા પછી આપણું મગજ પેટના નીચેના ભાગમાં આવેલી સ્વાદુપિંડ (પેનક્રિયાસ) નામની ગ્રંથિને ઇન્સ્યુલિન પેદા કરવા સંકેત મોકલે છે.
સ્વાદુપિંડના બીટા સેલ્સ એ ઈન્સ્યુલિન નામના હોર્મનનું જન્મસ્થળ છે. ખોરાકમાંથી શરીરમાં આવેલા ગ્લુકોઝને લોહી સુધી પહોંચાડવાનું કામ ઈન્સ્યુલિનનું. વધારાની સાકર કે ગ્લુકોઝને યકૃત (લીવર)ની દીવાલ તથા માંસપેશીમાં જમા કરવાનું કામ પણ ઈન્સ્યુલિન કરે. આને કારણે શરીરમાં સાકરનું બેલેન્સ જળવાય અને જમા થયેલી સાકર ઉપવાસ વખતે માણસને ઈંધણ આપતી રહે, પરંતુ બીટા સેલ્સમાંથી ઝરતા ઈન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થઈ જાય અથવા તો એનું ઉત્પાદન જ સાવ બંધ થઈ જાય ત્યારે શરીરમાં ખોરાક મારફત આવેલી સાકરને ઊર્જામાં ફેરવાતી રોકે છે. વપરાયા વગરની સાકર શરીરમાં જમા થયે રાખે એટલે રહેતે રહેતે શરીર એને પેશાબ વાટે બહાર કાઢવા માંડે. આ ક્રિયાને ડાબાબિટીસ થયો ગણાય. જે સમય જતાં શરીર આખાને ખોખલું કરી નાખે. હાર્ટટ્રબલ, ચામડીના રોગ, આંખ જતી રહેવી, મગજનો એટેક-પેરેલિસિસ જેવી અનેક મહાબીમારીઓ આવી પડે.
ડાયાબિટીસ માણસને અંધારામાં રાખતી બીમારી છે. ઘણાં ડોક્ટરો તો તેને ‘સાયલન્ટ કિલર’ કહે છે. ડાયાબિટીસ નાનાં બાળકથી લઈને ૬૦થી ૭૦ વર્ષના વૃદ્ધને પણ થાય છે. તે બે ટાઈપના હોય છે. ટાઈપ-વન અને ટાઈપ-ટુ.
ટાઈપ વન એટલે તદ્દન નાની ઉંમરે થતો ડાયાબિટીસ. જે ‘જુવેનાઈલ’ તરીકે ઓળખાય છે. નાનપણમાં થતી શરદી-તાવ અને અમુક પ્રકારના વાઈરસ બાળકના શરીરમાં ઘર કરી જાય ત્યારે તેઓના શરીરમાં જોઈતા પ્રમાણમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન ન થાય ત્યારે તેને ડાયાબિટીસ લાગુ પડે છે.
ટાઈપ-ટુ ડાયાબિટીસ મોટા ભાગે ૪૦થી વધુ વર્ષના સ્ત્રી-પુરુષમાં જોવા મળે છે. શરીરમાં વધુ પડતી ચરબી જામી જવાને કારણે ઈન્સ્યુલિન સહિતનાં અમુક હોર્મોન્સ પેદા ન થાય, ઈન્સ્યુલિન પેદા થાય તોય એનું પ્રમાણ બ્લડ સુગરને કન્ટ્રોલ કરવા માટે અપૂરતું હોય. આવા પેશન્ટને અમુક ગોળી કે ઈન્જેક્શન આપવાથી એનું સ્વાદુપિંડ વધુ ઈન્સ્યુલિન ઉત્પન્ન કરી શકે.
ટાઈપ-ટુ પ્રકારના ડાયાબિટીક કેસમાં આવેલા ઉછાળા માટે તબીબો આજની જીવનશૈલીને વધુ જવાબદાર માને છે.
અત્યારે માણસને બધું ફાસ્ટ જોઈએ છે. ફાસ્ટ મની, ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લાઈફ... પરિવારજનો સાથે પગ વાળીને બેસવાનો ટાઈમ ન ધરાવતો માણસ જો કે ટેલિવિઝન સામે અદોદળાની જેમ કલાકો ખોડાઈ રહે છે. એ વખતે હાથમાં મોલ્ટેડ વેફરનું પડીકું હોય અથવા ચા-કોફીનો કપ. આપણે પશ્ચિમની ખરાબ આદત બધી બહુ સરળતાથી સ્વીકારી લીધી છે. જો કે આપણે એમની શિસ્ત અપનાવી નથી.
ભારત માટે ડાયાબિટીસ કાંઈ નવી બીમારી નથી. પ્રાચીન વૈદ્યાચાર્ય ઘણાતા ઋષિ ચરક સદીઓ અગાઉ મધુપ્રમેહ વિશે લખી ગયા છે. ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં સુશ્રુતે પણ પોતાના ગ્રંથમાં એનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત આયુર્વેદના અને નિષ્ણાતો મધુપ્રમેહની બીમારી તથા તેને કાબૂમાં લાવવા મેથીતી માંડી કારેલાં તથા મધુપર્ણી નામની વનસ્પતિનો રસ પીવાનું સૂચવી ગયા છે. આ ઉપરાંત કડવો લીમડો-આમળા- હળદર પાઉડરનું મિશ્રણ, કડવું-કરિયાતું વગેરે ઔષધોને મધુપ્રમેહમાં ફાયદાકારી ગણાવ્યા છે. આ મહારોગ મેદસ્વી સ્ત્રી-પુરુષ ઉપરાંત નજીકના સગપણમાં ડાયાબિટીક પેશન્ટ્સ ધરાવતા લોકો અને ઔષધિ તરીકે સ્ટીરોઈડ્ઝનો ડોઝ લેતા દર્દીઓ પણ આ બીમારીના હાઈ-રિસ્ક કેસ ગણી શકાય. આ ઉપરાંત ગર્ભાવસ્થામાં બીજા પ્રોબ્લેમ્સથી પીડાતી સ્ત્રી. સ્ટ્રેસ (ચિંતા), માનસિક તાણ, પ્રેગનન્સીનું ટેન્શન આ ઉપરાંત અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખોટી જીવનશૈલી, વધુ પડતું બજારું ખોરાક અને વારસાગત ડાયાબિટીસ રોગને નોંતરે છે.
આપણને ખ્યાલ હશે કે, આ રાજરોગ માટે પૂરા વિશ્વમાં કોઈ દવા શોધાઈ નથી. વિદેશોમાં આ માટે રોજ અવનવા પ્રયોગો કરી સંશોધનો ચાલે છે. જો કે સફળતા મળશે કે નહીં, તે કાંઈ કહી શકાય નહીં, પરંતુ આપણા શરીરમાં ઈન્સ્યુલિન કૃત્રિમ રીતે પેદા થાય એ માટે ઈન્જેક્શનો અને ગોળીઓ શોધાઈ છે. અત્યારે તો માણસ તેના આધારે જ જીવી રહ્યો છે. ડાયાબિટીસ માટે કેટલીક હકીકતો જાણવા જેવી છે.