રાજકોટ તા.૧૩
તાજેતરમાં રાજય સરકારે ખાદ્યતેલોના વધતાં જતાં ભાવોને ધ્યાનમાં રાખી સ્ટોક નિયંત્રણ ધારો અમલી બનાવ્યા બાદ દરેક જિલ્લામાં કલેકટરોને ઓઇલમિલરો તેમજ તેલિબિયાના વેપારીઓ ઉપર તૂટી પડવા આદેશો કર્યા હતા.
- ઓઇલમિલો અને તેલિબીયાના વેપારીઓ પર દરોડાનો દોર ચાલુ રહેશે
જેના પગલે રાજકોટ જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને કરોડોનો મગફળી અને સિંગદાણા ઉપરાંત ખાધતેલનો જથ્થો મળી આવ્યો હતો. દરમિયાન જસદણના નાયબ કલેકટરે વિંછીયાની જુદી જુદી બે પેઢી ઉપર દરોડો પાડી પાડી રૃ. ૩,૦૭૨૯૪ ની કિંમતનો ખાધતેલનો બિનહિસાબી જથ્થો સીઝ કરી કાર્યવાહી કરી હતી.
સ્ટોક નિયંત્રણ ધારા ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમન ૧૯૭૭ના કાયદા હેઠળ પણ વેપારી અને મિલરોને ત્યા ંચેકિંગ કરવાનો કલેકટરે આદેશ આપ્યો છે. સ્ટોક નિયંત્રણની સાથોસાથ ૧૯૭૭ના કાયદા હેઠળ પણ તપાસ કરવામાં આવશે. જસદણના નાયબ કલેકટર રાજેન્દ્ર ગઢવીએ વિંછીયાની પરેશ ટ્રેડિંગ કંપનીમાં ચેકિંગ કર્યા બાદ તેમાંથી સિંગતેલ અને કપાસિયા તેલનો ૧૬૮૬ કિલો જથ્થો કે જેની કિંમત રૃ. ૧,૩૫,૧૫૪ થાય છે તે બિનહિસાબી જથ્થો મળી આવતાં ૧૯૭૭ના કાયદા હેઠળ સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિંછીયાની પાશ્વર્નાથ ટ્રેંડિંગમાં તપાસ કરતાં ૧૨૨૬ કિલો સિંગતેલનો જથ્થો સ્ટોક રજિસ્ટર કરતાં વધુ હોવાથી સ્થગીત કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૃ. ૧,૭૧,૬૦૦ની કિંમત થતી હતી. બે પેડીમાંથી રૃ. ૩ લાખનો ખાધ તેલનો જથ્થો બિન હિસાબી મળી આવ્યો હતો. દરમિયાન કલેકટરે દરોડાનો દોર ચાલુ રાખવા દરેક અધિકારીઓને તાકીદ કરી છે.