ભાવનગર, તા.૧૩
ભાવનગર શહેરના ભરતનગર ગૂંડાગીરી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં આઠ શખસોને ઝડપી લીધા છે. જ્યારે હીસ્ટ્રીશીટર નીલેશ ભોપા ભરવાડ પોલીસની પહોંચથી દૂર છે. ત્યારે આ કુખ્યાત શખસ નીલેશ ભરવાડને આગામી એકાદ સપ્તાહમાં ઝડપી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું નવ નિયુક્ત એસ.પી.મનીન્દરસિંઘ પુવારએ વાતચીતમાં જણાવ્યું હતુ. તેમણે એમ પણ ઉમેર્યું કે, હાલમાં પોલીસે પકડી પાડેલા આરોપીઓને અલગ અલગ સ્થળે લઈ જઈને તેની પૂછતાછ કરાઈ રહી છે.
- ભરતનગરના કુખ્યાત શખસોને સાથે રાખીને પૂછતાછ કરતી પોલીસ
ભાવનગર શહેરની સંસ્કારિતાને લાંછન લગાડનારી ઘટનામાં કુખ્યાત હનુ નગા ભરવાડ સહિત તેની ગેંગના આઠેક આરોપી શખસોને પોલીસે ઝડપી લઈ સરાજાહેર મેથીપાક જમાડી પ્રજાજનોમાંથી માથાભારે શખસોની ધાકને દૂર કરી છે. જો કે, ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી નીલેશ ભોપા ભરવાડ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. જેને ઝડપી લેવા માટે ગઈકાલે પોલીસે છ આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ભરતનગરની ચકચારી ઘટનાના નાસતા ફરતા આરોપી નીલેશ ભોપા ભરવાડને આગામી એકાદ અઠવાડિયામાં ઝડપી લેવામાં આવશે, તેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રિમાન્ડ પર લેવાયેલા આરોપી શખસોને જુદા જુદા સ્થળોએ લઈ જઈને ફરાર નીલેશ ભોપાના સંતાવા અંગેના લોકેશનને મેળવવાની પૂછતાછ કરવામાં આવી રહી છે. આગામી એકાદ સપ્તાહમાં આરોપી નીલેશ ભોપા પકડાઈ જશે તેમ નવા નિમાયેલા એસ.પી. મનીન્દર પ્રતાપસિંઘ પવારએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ.
આ બાબતે તપાસનીશ પી.આઈ. વી.પી. પરમારએ જણાવ્યું કે, ભરતનગરકાંડના ફરારી આરોપી નીલેશ ભોપા સહિતનાને ઝડપી લેવા માટેની કોશિશ કરાઈ રહી છે. નજીકના દિવસોમાં તમામ આરોપીઓ પકડાઈ જવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.