લખનઉ, તા. ૧૪
દલિત સ્મારકોની જમીન પર હોસ્પિટલો બાંધવાની અખિલેશ યાદવની જાહેરાતનો વિરોધ
ઉત્તર પ્રદેશમાં નવી ચૂંટાયેલી અખિલેશ યાદવની સરકાર અને બસપ વચ્ચે સંઘર્ષનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. દલિત સ્મારકો પર હોસ્પિટલ્સ જેવાં બાંધકામ અંગે અખિલેશ યાદવે સંકેતો આપ્યા બાદ બહુજન સમાજવાદી પક્ષ (બસપ)નાં સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં હિંસક ચળવળની ધમકી આપી છે.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાતવતીએ લખનઉમાં બાબાસાહેબ આંબેડકર ૧૨૧મી જન્મજ્યંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં તેમને અંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ આક્રમક મૂડમાં માયાવતીએ નવી ચૂંટાયેલી સરકારને દલિત સ્મારકો અને પાર્ક્સને નુકસાન પહોંચડવા અથવા તેમાં નવાં કોઈ પણ બાંધકામના સંદર્ભમાં ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.
બસપ કાર્યકરો અને નેતાઓને સંબોધન કરતાં માયાતવતીએ નવી ચૂંટાયેલી સરકારને ધમકી આપી હતી કે તેમનાં શાસનકાળ દરમિયાન બંધાયેલાં દલિત સ્મારકો અને પાર્ક્સને તોડી પાડવા અથવા તે જમીન પર અન્ય કોઈ બાંધકામ કરાશે તો માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાશે.
દિલ્હીમાં વડાપ્રધાન મનમોહનસિંહ સાથેની બેઠક બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશનાં લોકોએ લોકોના રૂપિયે પોતાનાં પૂતળાં ઊભાં કરનાર અને દલિતોના નામે પથ્થરોનાં બાંધકામ ઊભાં કરનાર સરકારને તિલાંજલિ આપી દીધી છે. આ પ્રકારે પૂતલાં ઊભાં કરવાથી દલિતોને કોઈ લાભ થયો નથી.
તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે તેમની સરકાર દલિત સ્મારકોમાં કોઈ પણ પૂતળાંને તોડશે નહીં, જોકે, સ્મારકોની આસપાસની ખાલી જમીનો પર બાળકો અને મહિલાઓ માટે હોસ્પિટલો ઊભી કરશે. સ્મારકોની આસપાસની ખાલી જમીનોનો યોગ્ય ઉપયોગ થાય તો તેની સામે કોઈને વાંધો નહીં હોય. અખિલેશનાં આ નિવેદન સામે માયાવતીએ ચેતવણી આપી હતી, જેને અનેક લોકોએ હિંસક ચળવળની ધમકી સમાન ગણી છે.
માયા સ્મારકોની સંભાળ રાખતા અધિકારીઓને યુપી સરકારે દૂર કર્યા
ઉત્તર પ્રદેશના જાહેર કલ્યાણ વિભાગના પ્રધાન શિવપાલસિંહ યાદવે અગાઉની બસપ સરકાર દરમિયાન લખનઉ અને નોઈડામાં બંધાયેલ વિવિધ બસપ સ્મારકો અને પાર્ક્સની સંભાળ રાખતા રાજકીય નિર્માણ નિગમ (આરએનએન)ના ૪૮ વરિષ્ઠ અધિકારીઓને દૂર કરી દીધા છે. પાંચ જનરલ મેનેજર્સ સહિત બધા જ અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગમાંથી દૂર કરાયા છે. પ્રધાને આ સ્મારકોનાં બાંધકામ દરમિયાન મોટાપાયે થયેલી કથિત ગેરરીતિઓની તપાસની જાહેરાત પણ કરી દીધી છે.