વૉશિંગ્ટન, તા. ૧૪
પૂર્વગ્રહ કે ચોક્કસ પેટર્ન નહીં હોવાની પણ સ્પષ્ટતા
બોલિવૂડ સ્ટાર શાહરુખખાનની અમેરિકાનાં એરપોર્ટ પર ગઈ કાલે કરવામાં આવેલી અટકાયતની ઘટના પાછળ કોઈ પૂર્વગ્રહ હોવાની કે ચોક્કસ પેટર્ન હોવાની આશંકાનું અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ આજે ખંડન કર્યું હતું. આ ઘટના પાછળ કોઈ જાતનો વંશીય ભેદભાવ હોવાની શક્યતાને પણ અમેરિકાએ ફગાવી દીધી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં શાહરુખખાનને અમેરિકાનાં એરપોર્ટ પર બે વખત રોકવાની ઘટના બની હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું હતું કે શાહરુખખાનને એરપોર્ટ પર પૂછપરછ માટે રોકવા પાછળ કોઈ ચોક્કસ પેટર્ન અપનાવાઈ નથી કે પૂર્વગ્રહ રખાયો નથી. આ બંને ઘટનાઓ અલગ અલગ છે. શાહરુખને અમેરિકાનાં એરપોર્ટ પર રોકીને પૂછપરછ કરવાની ઘટનાના ભારતમાં ઊગ્ર પ્રત્યાઘાતો પડયા હતા. ભારત સરકારે પણ આ અંગે અમેરિકાના સત્તાવાળાઓ સમક્ષ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
અમેરિકાની યેલ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓને સંબોધવા માટે એક ખાનગી વિમાનમાં નીતા અંબાણી સાથે અમેરિકા આવેલા શાહરુખખાનને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા ન્યૂયોર્કનાં એરપોર્ટ પર બે કલાકથી વધુ સમય માટે રોકી રાખવામાં આવ્યા હતા.
બોલિવૂડના આ લોકપ્રિય સ્ટાર સાથે અમેરિકાનાં એરપોર્ટ પર રોકવાની ઘટના બીજી વખત બની હતી. આ અગાઉ ૨૦૦૯માં ન્યૂ જર્સીનાં નેવાર્ક એરપોર્ટ પર તેની અટકાયત કરાઈ હતી.
વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે જે લોકો અમેરિકામાં આવી ઘટનાઓ નિવારવા માગતા હોય તેમણે ભારતમાં નવી દિલ્હી ખાતેની અમેરિકાની એલચી કચેરીમાં તેમના પ્રવાસ કાર્યક્રમની અગાઉથી જાણ કરવી સલાહભર્યું છે. આ ઘટના વંશીય ભેદભાવભરી હોવાની શક્યતા ટોનરે નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે હજારો મુસ્લિમો દરરોજ અમેરિકામાં આવ-જા કરે છે જેમને પકડવામાં આવતા નથી કે પૂછપરછ કરાતી નથી. એક આર્ટિસ્ટ તરીકે અને એક મહાનુભાવ તરીકે અમને ખાન માટે આદર અને સન્માન છે. તેમને પડેલી મુશ્કેલી માટે અમે માફી માગી છે.
ભારતના ડેપ્યુટી એમ્બેસેડર અરૂણ કે. સિંહે આ મામલે ભારત સરકારનો વિરોધ રોબર્ટ બ્લેક સમક્ષ રજૂ કર્યો હતો. અમેરિકાની સરકારે આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરીને માફી માગી હતી.
યેલ યુનિર્વિસટીએ શાહરુખ સાથેની ઘટના અંગે દિલસોજી દર્શાવી
અમેરિકાનાં એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર શાહરુખની અટકાયતની ઘટના અંગે ત્યાંની પ્રતિષ્ઠિત યેલ યુનિર્વિસટી દ્વારા દિલસોજી વ્યક્ત કરવામાં આવી હતી. શાહરુખની અટકાયતને તેમણે કમનસીબ ગણાવી હતી, જો કે આ મામલો આખરે થાળે પડી ગયો હોવાથી યુનિર્વિસટીએ રાહતનો શ્વાસ લીધો હતો. યેલનાં આસિસ્ટન્ટ સેક્રેટરી જ્યોર્જ જોસેફે કહ્યું હતું કે આ એક કમનસીબ ઘટના હતી, જો કે તેનો અંત સુખદ આવ્યો હતો. યેલ યુનિર્વિસટી દ્વારા તેમને પ્રવચન આપવા માટે અમેરિકામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.