મુંબઈ, તા.૧૪
જાહેર ક્ષેત્રની બેંકોની નાણાકીય સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૧,૫૦૦ કરોડ ઠાલવવાની જાહેરાત કરી છે. ભારતીય બેન્કિંગ વ્યવસ્થામાં છેલ્લા ઘણા સમયથી અડચણો અને સમસ્યા જોવા મળી રહી છે. બેંકોની મૂડી આર્પૂતિ માટે ખાસ કરીને પીએસયુ બેંકોમાં છેલ્લા બે વર્ષમાં કેન્દ્રે રૂ . ૩૨,૦૦૦ કરોડની રકમ ફાળવી હોવાનું નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું.
મૂડી પાયો સુધારવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૧,૫૦૦ કરોડ ફાળવાશે જેને પગલે પર્યાપ્ત નાણા ભંડોળ સાથે પીએસયુ બેંકો અન્ય બેંકો સામે સ્પર્ધામાં ટકી શકે. જાહેર ક્ષેત્રની બેંકોમાં ટાયર વન કેપિટલ રેશિયો ૮ ટકા જાળવી રાખવા માટે ૨૦૧૦-૧૧માં સરકારે રૂ . ૨૦,૧૫૭ કરોડ ઠાલવ્યા હતાં. તેમજ કેટલિક બેંકોમાં કેન્દ્રનો ઈક્વિટી હિસ્સો વધારીને ૫૮ ટકા કર્યો હતો. વિતેલા નાણા વર્ષમાં પીએસયુ બેંકોને રૂ . ૧૨,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતાં. ભારતીય બેંકો કેટલિક મુશ્કેલીઓ વચ્ચે પણ ૨૦૦૮ની વૈશ્વિક મંદીમાંથી સહીસલામત રીતે ઊભરી આવી છે. આ માટે નાણાપ્રધાને બેંકોનું દૂરદર્શી સંચાલન, સુવ્યવસ્થિત નિયમન માળખું અને બેંકર્સના વ્યક્તિગત નિર્ણયોને યથાર્થ ઠેરવ્યા હતાં.