અમદાવાદ, તા.૧૪
પરિણીત પ્રેમી સાથે હોટલમાં રંગરેલિયાં મનાવતી પત્નીને ખુદ પતિએ પોલીસને સાથે રાખી પકડી પાડી હોવાની એક નાલેશીભરી ઘટના વસ્ત્રાપુર વિસ્તારમાં બની હતી. ચાર જ મહિનાના ટૂંકા લગ્નજીવનમાં પત્નીએ પતિને કહી દીધું હતું કે, 'તારામાં કોઈ રસ નથી...
- વસ્ત્રાપુર વિસ્તારના કિસ્સાની ચર્ચા
- પતિએ પત્ની પર વોચ ગોઠવી હતી
- પતિ પોલીસને લઈ હોટલમાં પહોંચતા જ ભાંડો ફૂટયો
આ પછી પતિએ નોકરિયાત પત્ની પર દિવસ રાત વોચ ગોઠવી હતી. જે દરમિયાન આજે બપોરે પત્ની પ્રેમી સાથે હિમાલયા મોલ સામે આવેલી કેપટાઉન હોટલમાં રંગરેલિયાં મનાવવા ગઈ ત્યારે પતિએ પોલીસને બોલાવી લીધી. હોટલના રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે પરિણીત પ્રેમી શર્ટના બટન બંધ કરી બહાર નીકળતો જોવા મળ્યો હતો જ્યારે પત્ની બાથરૂમમાં જતી રહી હતી. વસ્ત્રાપુર વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સામાં પોલીસે પરિણીતા અને તેના પ્રેમી સામે વ્યભિચારનો ગુનો નોંધી અટકાયતની કાર્યવાહી કરી હતી. પકડાયેલો પ્રેમી પૂર્વ મહિલા કાઉન્સીલરનો પુત્ર હોવાનું પોલીસે જણાવ્યું છે.
બે પરિવાર વચ્ચે હંગામો
અમદાવાદ : ઘટનાને પગલે ઋષિ અને ધરાના પરિવારના સભ્યો વસ્ત્રાપુર પોલીસમથકે પહોંચ્યા હતા.જયાં બંન્ને પરિવારના સભ્યોમાં ઉશ્કેરાટ અને આવેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એકબીજા સામે આક્ષેપો થતા એક તબક્કે આમનેસામને મારામારી કરવા સુધીના પ્રયત્નો થયા હતા. ચંપલ મારવાનો નિષ્ફળ પ્રયાસ પણ થયો હતો. આ ઘટનાએ સમગ્ર પોલીસમથક માથે લીધું હતુ.
'પપ્પા અત્યારે આડાઅવળાં પ્રશ્નો ના કરશો'
ઋષિના પરિવારજનો પહેલા પોલીસમથકે આવી ગયા હતા. જયારે ધરાના માતા-પિતા થોડા સમય પછી આવ્યા હતા. વેવાઈ પક્ષના સભ્યો અને ધરાને અન્ય યુવક સાથે પોલીસમથકમાં ઉભેલી જોતા જ ધરાની માતા ભડકી ઉઠી હતી. ઉશ્કેરાટમાં તેમણે પોલીસને મારી દિકરી સામે શું લખાવ્યું છે તેવા પ્રશ્નો કરવા લાગ્યા હતા. પોલીસે વિનંતીસભર શબ્દોમાં માતા-પિતાને કહ્યું હતું કે,તમે તમારી દિકરીને પૂછો તેણે શું કર્યું છે અને તે કયાંથી પકડાઈ છે ? ત્યારે માતા-પિતા ઉભા થઈને દિકરી જયાં ઉભી હતી ત્યાં ગયા હતા. દિકરીની અડોઅડ ઉભા રહીને પિતાએ ચિંતાતુર શબ્દોમાં પૃચ્છા કરી હતી કે, બેટા તું આજે નોકરીએ ગઈ હતી? ધરાએ હા કહ્યું. પછી પિતાએ બીજો પ્રશ્ન કર્યો કે, નોકરીએ ગઈ હતી તો તું હોટલમાં કેવી રીતે પહોંચી? ત્યારે ધંઆપૂંઆ થયેલી ધરા બોલી ઉઠી હતી કે, 'પપ્પા અત્યારે આડાઅવળાં પ્રશ્નો ના કરશોલ્લ. બીજી બાજુ ધરાએ પોલીસની સામે કબૂલાત કરી હતી કે, પાંચ વર્ષથી તે આ યુવકના પ્રેમમાં છે.
'બંને સામે વ્યભિચારનો ગુનો નોંધ્યો છે'
આ ઘટનામાં પત્નિ અને તેના પ્રેમી વિરુધ્ધ કલમ ૪૯૭ હેઠળ વ્યભિચારનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું વસ્ત્રાપુર પોલીસ ઈન્સ્પેકટર મનોજ શર્માએ જણાવ્યું છે.
પતિની આસપાસ રહેતા મોભાદાર પણ દોડયાં સેટેલાઈટમાં રહેતા પતિની આસપાસ રહેતા મોભાદાર વ્યકિતઓની પત્નિઓ પણ વસ્ત્રાપુર પોલીસમથકે દોડી આવ્યા હતા.
પોલીસસુત્રો અનુસાર, સેટેલાઈટ સ્થિત શ્યામતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ઋષિ દેસાઈ (ઉં.૨૯) થોડા સમય પહેલા અમેરિકાથી પરત ફર્યા હતા. અહીં આવ્યા બાદ મેરેજબ્યુરો થકી તેમના લગ્ન શ્યામલ ચાર રસ્તા હિમાલી ટાવરમાં રહેતી ધરા ગિરીશભાઈ પરીખ સાથે (ઉં.૨૮) જાન્યુઆરી,૨૦૧૨ માં થયા હતા.બંનેની જ્ઞાાતિ અલગ હતી પણ સમાજના રીતિરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.
ઋષિના જણાવ્યા પ્રમાણે,' લગ્ન થયાને સવા મહિના બાદ માર્ચ મહિનામાં ધરા સાસરીમાં કોઈને કહ્યાં વગર પિયર જતી રહી હતી. પોતે તેને મનાવવા પહોંચ્યો ત્યારે ધરાએ તેના પરિવારના સભ્યો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અંતે ધરાએ પોતાને એમ પણ કહી દીધું હતું કે, 'તારામાં કોઈ રસ નથી
આ વાત સાંભળી હેબતાઈ ગયેલા ઋષિને ધરા પર શંકા ગઈ હતી.જેથી તેણે પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને સાથે રાખી ધરા ઉપર વોચ ગોઠવી હતી. મીઠાખળી વિસ્તારમાં ખાનગી કંપનીમાં ધરા નોકરી કરતી હતી. સવારે નવથી સાંજના નવ વાગ્યા સુધી પોતે નોકરી કરતી હોવાનું ધરાએ તેના પતિ અને સાસરિયાંઓને કહ્યું હતુ. ઋષિ તેની નોકરીના સ્થળે વોચ ગોઠવી હતા. ત્યારે ઋષિને એવી વિગતો જાણવા મળી હતી કે, નોકરીના સમયે ધરા અન્ય એક યુવક સાથે કારમાં ફરતી હોય છે. જેથી થોડા દિવસો અગાઉ ઋષિએ નોકરીના સ્થળે વોચ ગોઠવી તે દરમિયાન તેણે ધરાને એક યુવક સાથે કારમાં જતા જોઈ હતી. ઋષિએ તેનો પીછો કર્યો હતો. ધરા તે યુવક સાથે હિમાલયા મોલ નજીક આવેલી કેપટાઉન હોટલમાં ગઈ હતી. બે-ત્રણ કલાક હોટલમાં રોકાયા બાદ ધરા તે યુવક સાથે બહાર નીકળી હતી. ઋષિ પકડવાની કોશિશ કરી પણ એકલા હાથે પકડીશ તો વિવાદ થશે તેવી બીકે તેણે ધરાને જવા દીધી હતી. ત્યારબાદ તેણે વસ્ત્રાપુર પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. આજે પુન : ઋષિએ ધરાની વોચમાં લાગ્યો હતો. ત્યારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ધરા પુનઃ તે યુવક સાથે કેપટાઉન હોટલમાં પહોંચી હતી. ઋષિએ પોલીસકંટ્રોલને સંદેશો આપતા વસ્ત્રાપુર પોલીસે બંનેને પકડી પોલીસમથકે લાવ્યા હતા. જયાં પ્રેમીએ તેની ઓળખ મૌનાંગ જોષી તરીકે આપી હતી. તે પૂર્વ કાઉન્સીલરનો પુત્ર હોવાનું પોલીસે જણાવ્યું છે.
વ્યભિચાર અને કાયદો : પરિણીતા સામે ગુનો જ નોંધી ન શકાય
અમદાવાદઃ વ્યભિચારના ગુના અંગે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૭ની જોગવાઈ બહુ સ્પષ્ટ છે. અન્ય પુરૂષ સાથે લગ્ન ધરાવતી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધેલો હોય, આવો સંબંધ બાંધનાર પુરૂષને આ સ્ત્રી બીજાની પરણેતર છે તેની જાણકારી કે તેમ માનવાના પૂરતા કારણો હોવા જોઈએ, આવો શારીરિક સંબંધ પરણેતરના પતિની મંજુરી વિના બંધાયેલો હોવો જોઈએ અને આવો સંબંધ બળાત્કાર સ્વરૂપનો ન હોવો જોઈએ તો જ આઈપીસીની કલમ ૪૯૭ મુજબ વ્યભિચારનો ગુનો નોંધી શકાય છે. આમાં મહત્ત્વની વાત તો એ છે કે, આવો ગુનો પરણિતા સામે નહીં પરંતુ તેની સાથે આવો સંબંધ બાંધનારા પર-પુરૂષ કે પ્રેમી સામે જ નોંધી શકાય અને તે પણ પરણિતાનો પતિ ફરિયાદી બની શકે. આમ, કાયદો સ્ત્રીને વ્યભિચારના ગુનાની આરોપી નથી ગણતો. વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલા કિસ્સાના સંદર્ભમાં સૌથી રસપ્રદ બાબત તો એ છે કે, ધરાનો 'પ્રેમી' પણ પરણેલો છે છતાં તેની પત્ની પોતાના પતિ સામે વ્યભિચારનો ગુનો નહીં નોંધાવી શકે!