વડોદરા,તા.૧૫
મોંઘવારીનું વિષ ચક્ર સતત ચાલ્યા કરે છે. છેલ્લા આઠ વર્ષથી આ વિષચક્રમાં સામાન્ય નાગરિકો, નોકરિયાતો અને શ્રમજીવીઓ પિસાયા કરે છે. ફુગાવો ઘટયો હોવાની એક તરફ ગુલબાંગો સરકાર તરફથી પોકારાય છે ત્યારે વાસ્તવિક સ્થિતિ અત્યંત ચોંકાવનારી બહાર આવી છે.૨૦૦૪થી ૨૦૧૨ સુધીના આઠ વર્ષમાં જ દૂધ, શાકભાજી, કઠોળ, અનાજના ભાવ ૫૦ ટકાથી માંડીને ૩૦૦ ટકા સુધીના વધી જવા પામ્યા છે.જેના પગલે સામાન્ય માનવીની જમવાની થાળી જે ઘરમાં બને છે તેનો ખર્ચ પણ વધી જવા પામ્યો છે. આ સ્થિતિમાં માસિક બજેટ પણ ખોરવાઇ જવા પામ્યા છે. ગૃહિણીઓ રોજે રોજ ભાવ વધારાથી પરિવારનું બજેટ જાળવવા ચિંતિત બને છે.
- નોકરિયાતો અને શ્રમજીવીઓના વેતન ૩૦૦ ટકા સુધી વધ્યા નથી
રોજે રોજ ભાવ વધારો કોઇને કોઇ ચીજવસ્તુ પર અમલી બનતો હોવાના પગલે સામાન્ય નાગરિકોને તો હવે કઇ ચીજમાં ભાવ ઘટાડો થશે તેના અહેવાલ મળે તો આનંદ થતો હોય છે. એક તરફ ૩૦૦ ટકા સુધીનો ભાવ વધારો થયો છે ત્યારે પગારમાં કે વેતનમાં ૩૦૦ ટકા સુધીનો વધારો થયો ન હોવાથી નાગરિકોની ખર્ચ કરવાની શક્તિ ઘટી જવા પામી છે. બચતો ઘસાઇ જવા પામી છે.
ખાદ્ય પદાર્થોના ભાવ જોવા જઇએ તો દૂધ ૨૦૦૪માં રૂ.૧૩ના ભાવે એક લીટર મળતું હતું તેનો ભાવ હવે રૂ.૩૩ થી ૩૬ થઇ જવા પામ્યો છે.(રાજ્યના કેટલાક વિસ્તારમાં તો રૂ.૨નો વધારો આજથી અમલી બન્યો છે તેની ગણતરી કરાય તો રૂ.૩૫ થી રૂ.૩૭ થઇ ગયો છે.)મીઠું જે એક કિલોના ભાવ રૂ.૪ હતા તે હવે વધીને રૂ.૧૭ જેટલા થઇ જવા પામ્યા છે. તુવેરદાળ રૂ.૧૬ પરથી હવે રૂ.૫૫ થી રૂ.૭૫ થઇ ગયા છે.સિંગતેલ રૂ.૪૨ના એક કિલો પરથી વધીને રૂ.૧૩૨થી રૂ.૧૪૫ સુધી પહોંચ્યા છે. ગોળ રૂ.૧૬ થી વધીને સીધા જ રૂ.૪૫ નો ભાવ થયો છે. કઠોળ રૂ.૧૨ થી રૂ.૨૨થી રોકેટ ગતિએ ભાવ વધીને રૂ.૭૦ થી રૂ.૮૦ની સપાટીને વટાવી ગયા છે.
શાકભાજીના ભાવ એક કિલોના ભાવ રૂ.૩૦ થી રૂ.૫૦ સુધી પહોંચી ગયા છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ, વીજળીના દરોમાં થયેલો તોતિંગ વધારો આમ આદમીનું જીવન દોહ્યલું બનાવી રહ્યો છે.
ટ્રાન્સપોર્ટેશનના દરોમાં વધારો જે રીતે થઇ રહ્યો છે તે જોતાં આગામી સમયમાં ભાવ વધારાનું વિષચક્ર અટકશે નહિ. સામાન્ય માનવીઓને બે ટંક ભોજન બનાવવા માટે પણ કોથળા ભરીને નાણાં ખર્ચવા પડશે. ફુગાવો ઘટતો હોવાના દાવો માત્ર સરકારી જાહેરાત જ બની જવા પામી છે.
મોંઘવારીમાં મહેમાનો માટે 'અતિથિ તુમ કબ જાઓગે'નું સૂત્ર
વડોદરા : દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારીના પગલે હવે મધ્યમવર્ગના પરિવારમાં ૩ દિવસથી વધુ દિવસ માટે રહેવા આવતા મહેમાનો માટે 'અતિથિ તુમ કબ જાઓગે'નું સૂત્ર પ્રચલિત થવા માંડયું છે. સામાન્ય પરિવારો તો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યાં મહેમાનોનું આગમન તેમના બજેટને ખોરવી નાંખનારુ બનતું હોય છે. અગાઉ ભાવ પૂર્વક અતિથિઓનું સ્વાગત પરિવારમાં થતું હતું પણ હવે આ પરંપરા મોંઘવારીના મારના પગલે ખોરવાઇ જવા પામી છે.મહેમાનો કહે કે અમે પાછા જઇએ છીએ તો હવે રોકાઇ જવા માટે યજમાનો આગ્રહ કરતા નથી, અને જો આગ્રહ કરતા હોય તો તે માત્ર ઔપચારિકતા માટે જ હોય છે.