વડોદરા, તા.૧૫
ગ્રામ્ય વિસ્તારોમાં નિરક્ષરતાના પગલે આરોગ્ય શિક્ષણમાં પણ અભાવ જોવા મળતો હોય છે. તેમજ સરકારની નિર્મળ ગામ યોજના ગામના લોકોમાં જાગૃતિના પગલે નિષ્ફળ રહી હતી. જેથી ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થિની દ્વારા ગામના લોકોને આરોગ્ય તેમજ સ્વચ્છતા બાબતે શિક્ષણ આપવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.
- આર્થિક પરિસ્થિતિના અભાવે જાણકારી છતાં આરોગ્ય લક્ષી પગલાં ન લેતા ગ્રામજનો
- સમાજસેવી સંસ્થા સાથે મળી ગામમાં સાત શોષકૂવા બનાવ્યા
જેંમાં વિદ્યાર્થિની દ્વારા ગામવાસીઓ પાસેથી કેટલીક માહિતી એકત્ર કરવા સર્વે કરાયો હતો. સર્વેમાં મોટાભાગના ગામવાસીઓમાં સ્વચ્છતા તેમજ આરોગ્ય બાબતની જાણકારીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. જેથી વિદ્યાર્થિની દ્વારા ૪૨ દિવસ સુધી ગામવાસીઓને સ્વચ્છતા તેમજ આરોગ્યની જાણકારી આપી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
એમ. એસ. યુનિ. ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન વિભાગની વિદ્યાર્થિની ચૈતાલી પટેલ દ્વારા ડભોઇના બોરબાર ગામે સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ અંગે સર્વે કરાયો હતો.
ફેકલ્ટીના પ્રો.અંજલી પહાડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા સર્વેની વિગતો આપતાં ચૈતાલીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ગામના ૨૦૦ ઘરોમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યેની જાણકારીનું પ્રમાણ કેટલુ છે, તે બાબતે સર્વે કરાયો હતો.
જેમાં ૧૦૦ ટકા લોકો જાહેરમાં શૌચક્રિયા કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, તેમાંથી ૮૬ ટકા લોકોને જાહેરમાં શૌચક્રિયાથી આરોગ્યને થતા નુકસાનની માહિતી હોવાનું જાણવા મળ્યું હતું.આમ છતાં આર્થિક કારણોસર તેનું અમલીકરણ ન થતું હોવાનું જાણવા મળ્યું હતું. તે ઉપરાંત ગામમાં ખુલ્લી ગટરોનાં કારણે પણ ગંદકી વધતી જતી હતી.જેથી ગામ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર પ્રશ્નો ઉભા થતા હતા.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, ગામ લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેટલીક સમાજ સેવી સંસ્થાઓ સાથે મળી કુલ સાત શોષકૂવા બનાવવામાં આવ્યા છે. જે શોષકૂવા બનાવવા તેમજ તેના ઉપયોગ અને ત્યારબાદની તમામ માહિતી ગામલોકોને આપવામાં આવી હતી. જેથી ૪૨ દિવસના સર્વે અને જાગૃતિ અભિયાનથી ગામલોકોમાં ઘરે ઘરે શોષકૂવા બનાવવાની તૈયારી પણ જોવા મળી હતી.