નવી દિલ્હી, તા. ૧૫
રાજકોષીય ખાધ અને ટૂંકા ગાળાનું દેવું વિચલિત કરનારું છે
રિઝર્વ બેન્કના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું હતું કે ભારત માટે આર્થિક ચિત્ર ચિંતાજનક છે. વધતી જતી રાજકોષીય ખાધ અને સરકારનું ટૂંકા ગાળાનું દેવું વિચલિત કરનારું છે, જો કે આ વખતની સ્થિતિ ૧૯૯૧ જેવી નથી તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. તે વખતે બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ સરકાર માટે ચિંતાનો વિષય હતી, હવે આપણું અર્થતંત્ર વધારે પરિપકવ બન્યું છે અને દેશમાં તેમજ વિદેશમાં બની રહેલી ઘટનાઓના આંચકાઓ પચાવવા તે સક્ષમ છે, આથી આર્થિક વિસ્ફોટની તીવ્રતા ઘણી ઓછી છે.
ભારતના આર્થિક સુધારા અને વિકાસ અંગે યોજાયેલી પેનલ ડિસ્કશનમાં સુબ્બારાવે કહ્યું હતું કે ફુગાવો તેમજ સબસિડીનો બોજ ભારતના આર્થિક વિકાસની ગતિને ધીમી પાડી રહ્યાં છે. ક્રૂડઓઈલની આયાત પરનું અવલંબન ઇકોનોમી પર સબસિડીનો બોજ વધારી રહ્યું છે, જો કે ચાલુ ખાતાંની ખાધમાં વધારો ચેતવણીજનક છે તેવો મત કેટલાક આર્થિક નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
૧૯૯૧માં ભારત માટે બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ આર્થિક કટોકટી સર્જનારી હતી. વિદેશી લોનોની ચુકવણી મુશ્કેલ બની હતી. ક્રૂડઓઈલના ભાવ ગલ્ફવૉરને કારણે વધ્યા હતા, આને કારણે વિદેશી હૂંડિયામણની અનામતો ઘટી હતી અને રોકડ નાણાભીડ સર્જાઈ હતી.
હવે ૨૦૧૨માં સ્થિતિ અંકુશમાં છે. મેક્રો ઇકોનોમી અને નીતિવિષયક સંચાલન અને નીતિઓનો અમલ તથા આપણો વહીવટ ચિંતાની બાબતો રહ્યાં છે. આ ચર્ચાસભામાં વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે કેટલીક બાબતો આર્થિક મુશ્કેલીઓ સર્જનારી છે પણ મક્કમ નિર્ધાર સાથે આપણે તેનો ઉકેલ લાવવા કટિબદ્ધ છીએ.