અમદાવાદ,તા.૨૬
સાણંદ એપીએમસીની મતદારયાદી સુધારી ૧૦ દિવસમાં નવી ચૂંટણી માટે જાહેરનામુ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. એપીએમસીના ડાયરેકટ દ્વારા સાણંદ એપીએમસીની ચુંટણી જાહેર કરી હતી. જોકે રાજય સરકારે પંચાયતની ચૂંટણી જાહેર કરતા તે ચૂંટણી રદ કરવામાં આવી હતી. રાજયમાં પંચાયતની ચૂંટણી પુર્ણ થવા છતાં પણ સાણંદ કૃષી ઉત્પાદન બજાર સમિતીની ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં આવી નથી. તે ચૂટણી સત્વરે કરાવવા પંકજસિંહ વાઘેલા દ્વારા હાઇકોર્ટ સમક્ષ રીટ કરી હતી.
- દસ દિવસમાં મતદારયાદી સુધારી લઇ ચૂંટણી જાહેર કરો
એપીએમસીના ડારકેટર દ્વારા એફિડેવીટ સાથે એવી રજુઆત કરી હતીકે જાહેર હીતમાં તેમણે આ ચૂંટણી પાછી ઠેલી હતી. તેમણે જણાવ્યું હતુંકે સહકારી કાયદા પ્રમાણે જે વ્યક્તિ સોસાયટીઓનો સભ્ય ન હોય તેવા વ્યક્તિનો મતદાર યાદીમાં સમાવેશ થયેલો જોવા મળ્યો છે. તે ઉપરાંત જે વ્યક્તિએ કયારેય માર્કેટમાં કોઇ ટ્રેડીંગ કર્યુ ન હોય તેવા વ્યક્તિનો પણ મતદાર યાદીમાં સમાવવામાં આવી હતી.
આ કેસમાં ચૂકાદો આપતા જસ્ટીસ આર.આર. ત્રિપાઠી અને જસ્ટીસ જી.બી.શાહની ખંડપીઠે નોંધ્યું હતુંકે ફરિયાદ પ્રમાણે જેમણે કયારેય ખેત ઉત્પાદન બજાર સમિતીમાં કોઇ વેચાણ ન કર્યુ હોય તેવા લોકોનો મતદાર યાદીમાં સમાવેશ થઇ ગયો છે તેનો અર્થ એમ કે ડાયરેકટર દ્વારા નિયુક્ત થયેલા અધિકારીએ મતદારયાદીમાં આ લોકોના નામ નોંધતા પહેલા યોગ્ય ચકાસણી કરી નથી. તેથી મતદારયાદીને સુધારી લેવી જોઇએ. ડાયરેકટર દ્વારા ૧૬મી એપ્રિલ સુધીમાં તેનો નવો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવો.