ગાંધીનગર, તા. ૧૫
ગ્રામપંચાયતોની ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧,૭૨૮ પૈકી ૧,૩૦૦ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીમાં ૭૨થી ૭૫ ટકા સરેરાશ મતદાન થયું છે. ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણી બાદ આ તાલુકાની ગ્રામપંચાયતોમાં પણ સારાએવા પ્રમાણમાં મતદાન થયું છે એ પણ નોંધપાત્ર ઘટના છે.
રાજ્યના ૨૬ જિલ્લાની ૧,૭૨૮ ગ્રામપંચાયતો માટે ૧૫ એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણીપંચે કરી હતી. સામાન્ય રીતે ગ્રામપંચાયતોની ચૂંટણીઓ પક્ષીય ચિહ્નો પર લડાતી નથી, પરંતુ બન્ને પક્ષો પોતપોતાના દાવા કરતા હોય છે. ૧૩ એપ્રિલથી કમુરતાં ઊતરતાં એક તરફ લગ્નગાળો અને બીજી તરફ શાળાઓમાં પરીક્ષા પૂરી થયા બાદ રવિવારે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં લગભગ દસ હજાર જનપ્રતિનિધિઓનાં ભાવી ઈવીએમમાં કેદ થયાં હતાં. સવારે ૮થી સાંજના પાંચ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં ક્યાંય કોઇ વિવાદ કે તકરાર થઇ ન હતી. સર્વત્ર શાંતિપૂર્ણ અને મુક્ત, ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય એ માટે મતદાનમથકોની ફરતે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લગ્નગાળો હોવા છતાં ગામડાંઓમાં મતદાનને લઇને ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો.
રાજ્ય ચૂંટણીપંચના ઇન્ચાર્જ કમિશનર પી. એસ. શાહે જણાવ્યું કે, ૧,૭૨૮ પૈકી ૪૨૧ ગ્રામપંચાયતો સમરસ જાહેર થઇ છે જ્યારે આ સિવાયની કેટલીક પંચાયતો આંશિક રીતે સમરસ થઇ છે, જોકે, બાકીની પંચાયતો માટે સરેરાશ ૭૨થી ૭૫ ટકા જેટલું મતદાન થયું છે. હાલ તો રાજ્યભરમાંથી કોઇ એવી ફરિયાદ આવી નથી, પરંતુ કોઇ મતદાન મથક પર ફરીથી મતદાન કરવાની જરૂર ઊભી થાય ત્યાં આવતી કાલ સોમવારે મતદાન યોજાશે અને મંગળવારે ૧૭ એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે. સંભવતઃ બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
આજે મતદાન ચાલી રહ્યું હતું એ સમયગાળામાં બપોરે વડોદરા જિલ્લાના તિલકવાડા તાલુકાના સેવાડા ગ્રૂપ ગ્રામપંચાયતના વોર્ડ નં.૩ના હરીફ ઉમેદવારનું અચાનક અવસાન થતાં મતદાન રદ કરવામાં આવ્યું હતું અને આ વોર્ડની ચૂંટણી માટે હવે નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.