વડોદરા,તા. ૧૮
બોડેલી નજીક પાણેજ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોના લોહીના નમૂનામાં મિથાઈલ આલ્કોહોલ મળ્યું હોવાની સ્ફોટક વિગતો પોલીસ દ્વારા બૂટલેગરની જામીન અરજીની સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ રજૂ કરાઈ હતી. પોલીસ રેકર્ડ પ્રમાણે લઠ્ઠાકાંડ માટે જવાબદાર ઠરેલા બૂટલેગર પૈકીની કોકીલાબેન રામાભાઈ તડવીએ તાજેતરમાં દાખલ કરેલી જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી હતી.
- દેશી દારૂમાં ઝેરી રસાયણ વપરાયા હોવાનો હ્લજીન્ રિપોર્ટમાં ખુલાસો
બોડેલી પાસેના પાણેજ ગામમાં ગઈ તા. ૧૩મી માર્ચે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. કેમિકલ મિશ્રિત દેશી દારૂ પીવાના કારણે પાંચ જણાંના મોત થયા હતા. જયારે ૧૮ જણાંને અસર થઈ હતી. અસરગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બોડેલીના લઠ્ઠાકાંડે સમગ્ર રાજયમાં ખળભળાટ મચાવ્યો હતો. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના વિસેરા તથા અસરગ્રસ્તોના લોહીના નમૂના પૃથ્થકરણ માટે સુરત એફએસએલમાં મોકલાવામાં આવ્યા હતા. ફોરેન્સિક સાયન્સ લેબમાં બારીકાઈથી સર્વેક્ષણ કરીને નિષ્ણાંતોએ એવો અભિપ્રાય આપ્યો હતો કે, મરનારના વિસેરામાં કારબોમેક્સ પ્રકારનું રસાયણ મળ્યું છે. જયારે અસરગ્રસ્તોના લોહીના નમૂનામાં મિથાઈલ આલ્કોહોલની હાજરી મળી છે. આ રિપોર્ટ પોલીસે સૌ પ્રથમ વખત જાહેર કર્યો છે.
દરમિયાન લઠ્ઠાકાંડમાં પોલીસે ધરપકડ કરેલી મહિલા બૂટલેગર કોકીલા રામાભાઈ તડવી (રહે, પાણેજ, સંખેડા)એ તાજેતરમાં અત્રેની સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતાં મુખ્ય સરકારી વકીલ નારાયણભાઈ શાહે આવા ગંભીર પ્રકારના ગુનામાં જામીન આપવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે એવી દલીલ કરી હતી કે બૂટલેગર મહિલાએ માનવ જિંદગી સાથે ચેડા કર્યા છે. જો જામીન આપવામાં આવશે તો ફરીથી ગુનો કરવા માટે પ્રોત્સાહન મળશે. જામીન આપવાથી કેસને પણ નુક્સાન થાય તેમ છે. જિલ્લા પોલીસે મુખ્ય સરકારી વકીલ દ્વારા અદાલત સમક્ષ સોગંદનામું રજૂ કર્યુ હતું. ગુનાની ગંભીરતા ધ્યાને લઈને મહિલા બૂટલેગરના જામીન નામંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.