ડાયેટિશિયનની કલમે - સોહિની શાહ
ઘણી ગૃહિણીઓ નિયમિતપણે કસરત કરતી હોવા છતાં, વજનમાં વધારો થતો હોય છે. તેના કારણો અનેક હોઈ શકે. જેમાંનું એક કારણ અને તેના ઉપચારની આજે ચર્ચા કરીશું.
નિયમિત ભરપેટ જમ્યા છતાં વચ્ચે વચ્ચે અયોગ્ય નાસ્તા કરવાની આદત વજન વધારવા માટે જવાબદાર હોય છે. બાળકો જ્યારે પણ સ્કૂલેથી પાછા આવે ત્યારે ઘણી ગૃહિણીઓને તેમની સાથે નાસ્તો કરવા બેસી જતી હોય છે. આ વણજરૂરી ખોરાક વજન વધારવા એક કારણ બની જતો હોય છે. જો તમે બે ભોજન વચ્ચેનો નાસ્તો યોગ્ય પ્રમાણ અને શિષ્ટતાપૂર્વક લઈ શકો તો આ પ્રશ્ન ન ઉદ્ભવે. કારણ કે આમ કરવાથી જમવાનું પ્રમાણ આપોઆપ ઓછું થઈ જશે. અને તમે બાળકો સાથે નાસ્તો પણ એન્જોય કરી શકશો.
તમારે બપોરનો નાસ્તો બપોરનું ભોજન લીધાના ૩-૪ કલાક પછી લેવો જોઈએ અને રાતનું ભોજન લેતાં પહેલાંના ૩ કલાક પહેલાં લેવો જોઈએ. આમ કરવાથી રાતના ભોજનમાં વધારે ખવાશે નહીં. તે ઉપરાંત તમારે વધારે પડતાં સમય સુધી ભૂખ્યા રહેવું જોઈએ નહીં. આમ, વધારે સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરને જરૂરી એવા ન્યૂટ્રિશન્સ મળતાં નથી. જે શરીરને ચલાવવા માટે જરૂરી છે. યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં જમવું એ ખૂબ જ મહત્ત્વનું છે. અહીં થોડા યોગ્ય નાસ્તાના ઉદાહરણ છે.
૫ બદામ દહીં સાથે, ૩ ટેબલસ્પૂન બાંધેલા દહીં સાથે એક કપ કકડા કરેલાં ગાજર અને કાકડી, ૧/૪ કપ શેકેલા મસાલા ચણા, ૧ કપ પપૈયું, ૧ નારંગી અથવા એક સફરજન અથવા એક જામફળ, ૧ કપ ચા (ઓછી ખાંડવાળી) ૧.૫ કપ ઘરે બનાવેલા પોપકોર્ન, ૧/૨ કપ ઓછા ફેટવાળું દૂધ, ૧/૨ વેજીટેબલ સેન્ડવીચ- હોલવ્હીટબ્રેડની. આ પ્રમાણે જો તમે બે ભોજનની વચ્ચે નાસ્તો લેવાનો રાખો તો યોગ્ય રહેશે.