ઉજ્જૈન, તા. 22
સમગ્ર ભારતમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો દિવસ ખૂબ ખાસ માનવામાં આવ્યો છે. નવગ્રહોની દશાને જોતા જો કોઈ વ્યકિતના લગ્નનું મુહૂર્ત ન નીકળતું હોય તો આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી એવી વ્યકિત લગ્ન કરી શકે છે. આ દિવસે દાન-પુણ્યનું મુહૂર્ત મહાપર્વ મનાવાય છે. પુરાણો પ્રમાણે આ દિવસે દાન કરવાથી વ્યકિતને વૈકુંઠ ધામમાં જગ્યા મળે છે.
અખાત્રીજના દિવસે શું દાન કરવું જોઈએ-
-અખાત્રીજના દિવસે ખાસ કરીને તલ, જવ અને ચોખાનું દાન કરવાનું ખાસ મહત્વ છે.
-આ દિવસે બદ્રીનાથને અક્ષય ચોખા ચઢાવવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
-અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે જપ, દાન, હોમ તેમજ પિતરને શ્રાદ્ધ કરવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
-માટીનાં કે તાંબાના બે ઘડામાં પાણી ભરીને એક ઘડામાં અક્ષત તેમજ બીજામાં તલ નાખી ઘડાને બ્રહ્મા, વિષ્ણુ, શિવસ્વરુપની પૂજા કરીને બ્રાહ્મણને દાન કરી શકાય. આવું કરવાથી આપણાં પૂર્વજો તેમજ પિતૃ તૃપ્ત થઈને આપણી તમામ મનોકામના પૂર્ણ કરે છે.
-અખાત્રીજના દિવસે ગરીબ, અસહાય લોકોને ભોજન કરાવવું.
-આ દિવસે તડબૂચ અને માટલાનું દાન કરવાનું અનેરું મહત્વ છે.