અંકલેશ્વર તા.૨૨
કરજણ જળાશય યોજના છેલ્લા એક મહીનાથી કેનાલમાં પાણી બંધ કરીને ગોકળગતિએ સમારકામ ચાલતા ખેડુતોનો પાક ભરઉનાળામાં નિષ્ફળ જવાના આરે હોવાથી ગણેશ સુગરના ચેરમેને રૂબરૂ મુલાકાત લીધા બાદ રાજયના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. જેમાં મંદગતિએ ચાલતી ગાબડુ પુરવાની કામગીરીમાં જવાબદાર અધિકારીની સતત ગેરહાજરી દેખાઇ આવે છે. ઉપરાંત કરજણ જળાશય યોજનામાં હાલમાં હાઇડેપાવર પ્લાન્ટ ચલાવીને પાણીનો દુવ્યર્ય કરવો યોગ્ય ન હોવાથી ખેડુતને નુકશાન થાય તેનુ વળતર હાઇડેપાવર એજન્સી દ્વારા ચુકવા માટે રજુઆત કરવામાં આવી હતી.
- ગણેશ સુગરના ચેરમેન દ્વારા રાજયના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત
ભરપુર કેચમેન્ટ વિસ્તાર ધરાવતા કરજણ જળાશય યોજનાથી નર્મદા સહિત ભરૂચ જિલ્લાના ખેડુતોને સિંચાઇનો ફાયદો થાય છે. એકાદ મહીના પહેલા કરજણ યોજનાની ડાબા કાંઠામાં ગાબડુ પડતાં કેનાલમાં ગત-૨૬મી માર્ચે સમારકામ માટે પાણી બંધ કરી દેવાયુ હતુ. તેમાં પણ સુકીભઠ જમીનમાં અને ધોમધખતા ઉનાળામાં એકાદ મહીનાથી કરજણનુ પાણી ન આવતાં ખેડુતો ભારે ચિંતામાં મુકાઇ ગયા હતા. ગઇકાલે બુધવારે ગણેશ સુગરના ચેરમેન અને સિંચાઇ જળ સંઘર્ષ સમિતિના પ્રમુખ સંદિપસિંહ માંગરોલાએ સમારકામની ચાલતી કામગીરીની જાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં મંદગતિએ કામ ચાલતુ હતુ.જેને લઇને રાજયના પાણી પુરવઠા મંત્રી નિતીનભાઇ પટેલને લેખિત પત્ર ફેકસ દ્વારા મોકલી આપીને એમ જણાવ્યુ હતુ કેનાલનું ગાબડામાં માટીનુ ધોવાણ વધુ પડતુ છે. જેમાં માંડ ૨૦થી ૨૫ મજુરો કામ કરતા હોવાથી ધીમી ગતિથી કામગીરી ચાલી રહી છે. માટી પુરાણ માટે મશીનરીનો અભાવ હોવાથી વધુ સાધનો ઉપલબ્ધ કરાવવા જોઇએ. કરજણ ડેમમાં દરવાજા બંધ હોવાથી પાણી ભયકંર લીકેજ થતુ હોવાથી ગંભીર પ્રકારની બેદરકારી માટે સબંધીત વિભાગની જવાબદારી નકકી થવી જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે કેનાલ લાઇનીંગનુ કામ ઘણુ જુનું અને જર્જરીત થઇ જતાં તની તબકકાવાર મરામતની ખાસ જરૂર દેખાઇ રહી છેઆ સિવાય કેનાલ પર સિંચાઇનુ પાણી ચાલુ હોય એ સમયે હાઇડેપાવર પ્લાન્ટ કાર્યરત રહે એ બરાબર છે.પરંતુ હાઇડેપાવર પ્લાન્ટ ચલાવવા પાણીનો જે દુર્વ્યય કરવામાં આવે છે.ખાસ કરીને કેનાલમાં ગાબડુ પડયા બાદ પાણી આમ જ નીકળે જે યોગ્ય નથી. સિંચાઇનુ પાણી બંધ હોવાથી પણ હાઇડેપાવર પ્લાન્ટ ચલાવતા પાણી છોડવામાં આવે છે. જો કે આ કામગીરી દરમ્યાન જવાબ અધિકારીની સતત ગેરહાજરી દેખાઇ આવે છે. જે માટે ખેડુતોને પાણી ન મળતા ગણેશ સુગર અને ધારીખેડા સુગરે કામગીરીમાં સહયોગ આપવાની તત્પરતા દાખવી હતી. સમગ્ર બનાવ બાદ શેરડી, કેળા, શાકભાજી તેમજ ઉનાળુ મગફળી અને બાજરી જેવા પાકોનુ વાવેતર થયેલ હોવાથી સમયસર સિંચાઇ આપવામાં ન આવે તો નિષ્ફળ જવાના આરે હોવાથી ખેડુતોને આર્થિક રીતે ભારે નુકશાન ભોગવવુ પડતુ હોય છે. કામગીરીનુ નિરીક્ષણ સહિત મરામતની કામગીરી પ્રગતિ દર્શાવતી સીડી મોકલી આપવામાં આવી છે. જે માટે વહેલી તકે મરામત કરવા માટે ગાંધીનગરના મુખ્ય ઇજનેર જે.બી.પટેલ, વડોદરા સિંચાઇ વર્તુળના આર.જી.કાનુંગો, મધ્યમ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર અને કરજણ યોજના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં નકલ મોકલવામાં આવી હતી.