મહેસાણા, તા.૨૩
વડનગર તાલુકાના પીપળદર ગામની સીમમાં આવેલા મંદિરમાં ર્ધાર્મિક ક્રિયા માટે ગયેલા શ્રધ્ધાળુઓ ઉપર ખેતર માલિક પરિવારના શખસોએ હુમલો કર્યો હતો.બીજી તરફ,સામાન્ય તકરારમાં ઉશ્કેરાયેલા સામા જૂથે પણ હિંસક હુમલો કર્યો હતો.પરસ્પર વિરોધાભાસી દાવા કરતી બે ફરિયાદો નોંધી વડનગર પોલીસ મથકના એએસઆઈ લગધીરભાઈ સાંકાભાઈ દેસાઈએ આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
વડનગર તાલુકાના કરબટિયા ખાતે રાવળવાસમાં રહેતા દશરથભાઈ ભલાભાઈ રાવળનો પરિવાર પીપળદર ગામની સીમમાં આવેલા ખેતરમાં ર્ધાર્મિક વિધિ માટે ગયો હતો. આ સમયે હાથમાં મારક હથિયારો સાથે આવી પહોંચેલા દેવીપૂજક રામાભાઈ ગલબાભાઈ, દેવીપૂજક નેનાભાઈ ગલબાભાઈ ઉપરાંત અન્ય બે શખસોએ તેમના ઉપર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, દેવીપૂજક લાલાભાઈ નેનાભાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર જેશાભાઈ ભલાભાઈ રાવળ વગેરે પોતાના ખેતરમાં માતાજીને શ્રીફળ ચઢાવવા આવ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે અમારા ખેતરમાં તમે એરંડા શા માટે કાપી નાખ્યા છે. તેમ કહી હુમલો કર્યો હતો. દેવીપૂજક લાલાભાઈએ ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. વડનગર પોલીસના એએસઆઈ લગધીરભાઈએ બન્ને જૂથોના સાત શખસો સામે વધુ તપાસ હાથ ધરી છે.