બાયડ, તા.ર૪
ઉત્તર ગુજરાતના માથે સૂરજદાદા કોપાયમાન બન્યા છે. સરકારની સુજલામ સુફલામ કેનાલ મારફતે સિંચાઈનાં પાણી આપવાનું કોઈપણ કારણોસર છેલ્લા બે મહિનાથી બંધ કરાયું છે છતાં ઉત્તર ગુજરાતના ૪ જિલ્લાઓમાં ૩,૭૯,૯૩૪ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયાનું ખેતીવાડી સૂત્રોએ જણાવ્યું છે. આ વર્ષે ખેડૂતોએ ઘઉંની માફક ઉનાળુ બાજરીની ખેતી ઉપર વધારે ભાર મૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં ૧,૯૬,૬૧૯ હેક્ટર જમીનમાં ઉનાળુ બાજરીનું વાવેતર થયું છે. જ્યારે તલ, મગ, ચોળા, ઉનાળુ મકાઈ, રજકો, મકાઈ ઘાસચારાની ખેતીમાં ખેડૂતોએ કોઈપણ કારણોસર ભારે ઉદાસીનતા સેવી લેતાં આગામી દિવસોમાં મૂંગા પશુઓ માટે ઘાસચારો વધુ મોંઘો થશે તેવું જણાઈ રહ્યું છે.
- ૧.૯૬ લાખ હેક્ટર જેટલી વિક્રમી જમીનમાં ઉનાળુ બાજરીનું વાવેતર નોંધાયું
ખેતી પ્રધાન દેશ તરીકે ભારતને ઓળખવામાં આવી રહ્યો છે. પરંતુ કેન્દ્રનો કૃષિ વિકાસ દર ૩ ટકાથી વધવાનું નામ લેતો નથી. ગુજરાતમાં કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને યોગ્ય આયોજનથી ખેતી કરવાની સમજ આપવાની સાથે જમીનોની ફળદ્રુપતા ચકાસી કાળી, ગોરાળુ, રેતાળ જમીનોમાં કેવા કેવા પાક લઈ શકાય તેના યોગ્ય માર્ગદર્શનો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ મહોત્સવ દરમ્યાન સતત અપાતા રહ્યા જેના ફલસ્વરૂપે છેલ્લા પ વર્ષમાં કૃષિ મેળાના કાર્યક્રમો ગુજરાતને ફળ્યા હોય તેમ ગુજરાતે કૃષિ ક્ષેત્રે ૧૧ ટકા જેટલો વિકાસદર હાંસલ કરી સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે આગવી ઓળખ ગુજરાત ઉભી કરી શક્યું છે. પરંતુ ગુજરાતને કૃષિ ક્ષેત્રે મહત્વનું હબ બનાવનારા ખેડૂતો અપૂરતા ભાવોને લઈને આજે પણ સરકાર ઉપર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને પોતાનો પાક વેચતી વેળાએ દંડા ખાવા પડે, અપમાન સહન કરવા પડે તે બાબત વખોડવા લાયક બની રહી છે. ઉત્તર ગુજરાતમાં સિંચાઈની સવલતો હોવા છતાં અનેક વિસ્તારોમાં ઉનાળુ ખેતી માટે સિંચાઈનાં પાણી આપવામાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે. જે વિસ્તારની નેતાગીરી સબળ તે વિસ્તારમાં ખેડૂતોને ન માંગેલું સિંચાઈનું પાણી મળે છે. આ વર્ષે સુજલામ કેનાલમાં ઉનાળુ ખેતી માટે પૂરતુ પાણી અપાયું હોત તો ઉત્તર ગુજરાતમાં ઉનાળુ ખેતીનો વાવેતર વિસ્તાર વધારી શકાયો હોત પરંતુ કોઈપણ કારણોસર સુજલામ કેનાલમાં શરૂઆતથી જ પાણી છોડવામાં ઠાગાઠૈયાની નીતિ અપનાવાતાં તેની સીધી અસર વાવેતર ઉપર પડી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ર,૦૯,૭૮પ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું છે. જ્યારે મહેસાણા જિલ્લામાં ૭૭,પ૩૪ હેક્ટર, સાબરકાંઠા જિલ્લામાં ૬ર,૩૩પ હેક્ટર અને પાટણ જિલ્લામાં ૩૦,ર૮૦ હેક્ટર વાવેતર પૂર્ણ થયાનું જાણવા મળેલ છે. ટૂંકમાં કાળઝાળ ગરમીમાં ખેતીને વ્યવસાય બનાવી નભતા ખેડૂતોએ શિયાળા સુધીના પાક ઉપજના ભાવમાં અન્યાય થયો હોવા છતાં એક દિવસ સારો આવશે તે આશાએ ઉનાળુ ખેતીમાં પણ પૂરતું મન પરોવી દીધું છે.