અમદાવાદ, તા.૨૪
હાલ સમર વેકેશનમાં તમામ ટ્રેનોમાં પ્રવાસીઓનો જબરદસ્ત પ્રવાહ છે ત્યારે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડતી નોન સ્ટોપ એસી દુરન્તો ટ્રેનને રેલવે મંત્રાલયે સમર વેકેશનમાં જ ડેઇલી ચલાવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. અગાઉ આ ટ્રેન સપ્તાહમાં મંગળ, ગુરુ અને રવિવાર એમ ત્રણ વખત દોડતી હતી. હવે આગામી તા.૨૬ એપ્રિલથી આ દુરંન્તો ટ્રેન સપ્તાહમાં બધા જ દિવસે દોડશે.
- ૨૬મીથી સપ્તાહમાં ત્રણ દિવસને બદલે ટ્રેન રોજ દોડાવાશે
- સમર વેકેશનમાં ટ્રેનને ડેઇલી કરતા હજારો પ્રવાસીઓને રાહત
કેન્દ્રીય રેલવેમંત્રી દ્વારા છેલ્લા ત્રણ વખતથી જાહેર થનારા રેલવે બજેટમાં અમદાવાદના પ્રવાસીઓની હાર્દ સમાન દુરન્તો ટ્રેનને ડેઇલી કરવાની અનેક જાહેરાતો કરવામાં આવતી હતી. પરંતુ કોઇ કારણોસર ડેઇલી કરવામાં આવતી ન હતી. હવે રેલવે મંત્રાલયે આ ટ્રેનને મંજુરી આપી ડેઇલી કરતા અમદાવાદથી મુંબઇ જનાર હજારો પ્રવાસીઓને સરળતા રહેશે. ખાસ કરીને સમર વેકેશનમાં ટ્રેનને ડેઇલી કરાતા મુંબઇ જનાર પ્રવાસીઓને કોઇ ભારે હાલાકીનો સામનો કરવો પડશે નહીં. બીજી તરફ સમયમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
દુરન્તો ટ્રેન અમદાવાદ કાલુપુર જંક્શનથી રાતે ૧૧:૪૫ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે ૬:૧૫ વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે મંબઇ સેન્ટ્રલથી રાતે ૧૧:૨૫ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે ૬:૦૦ વાગ્યે કાલુપુર જંક્શન પહોંચશે. નોંધનીય છે કે અમદાવાદ કાલુપુર રેલવે જંકશન પર પ્ર્તિદીન ૧.૧૦ લાખ પ્રવાસીઓની મૂવમેન્ટ છે, જ્યારે સમરમાં ૧.૪૦ લાખ થઇ જાય છે.
પ્રવાસીઓને એક દિવસમાં મુંબઈ જર્ની કરવી સરળ રહેશે
દુરન્તો ટ્રેનને ડેઇલી કરવામાં આવતા એક દિવસમાં મુંબઇથી પરત આવવુ હશે તો તેવા પ્રવાસીઓ માટે ખૂબ જ સરળતા રહેશે. ખાસ કરીને ધંધાના કામકાજ અર્થે અથવા મહત્ત્વની મિટિંગ અર્થે જનાર વેપારીઓને એક દિવસમાં પરત આવવું હશે તો તેમને હવે મુંબઇમાં રાત્રી રોકાણ કરવાની જરૂર રહેશે નહીં.
ટ્રેનમાં ફક્ત પાણીની બોટલની સુવિધા
દુરન્તો ટ્રેન અમદાવાદથી રાતે ૧૧:૪૫ વાગ્યે રવાના થાય છે. આ ટ્રેન નોન સ્ટોપ હોવાથી એકપણ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ નથી. જેના કારણે મોડી રાતે પ્રવાસીઓને પીવાનું પાણી મળતું ન હોવાથી ફરિયાદો મળી હતી. જેના કારણે હવે બિઝનેસ પ્રકારની આ ટ્રેનમાં પાણીની બોટલની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.