આણંદ :
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંઢા ગામમાં રહેતા સતિષભાઈ ઈન્દ્રવદનભાઈ પરમાર પોતાની બે વર્ષની પુત્રી રીન્કુ બિમાર હોઈ તેની સારવાર કરાવવા માટે બાઈક નંબર જી.જે.૬ ડી.પી.૪૮૬૪ લઈને સાંઢા ગામેથી બોરસદ તાલુકાના કિંખલોડ ગામે આવવા માટે નીકળ્યા હતા.જેમની સાથે રીન્કુ ઉપરાંત નિમીષા ઉ.વ.૧૨ને પણ સાથે લીધી હતી.દરમ્યાન તેઓ પોતાની બાઈક લઈ ગંભીરા કિંખલોડ હાઈવે પર દેવાપુરા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ ઝડપે જઈ રહેલા કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી દેતાં સર્જાયેલા અકસ્માતમાં બાઈક સાથે ત્રણેય ફંગોળાઈ ગયા હતા.જેમાં નિમીષાને માથામાં અને ટ્રકની શરીરના ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે સતિષભાઈ અને રીન્કુને વત્તીઓછી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જીને અજાણ્યો ટ્રકચાલક પોતાની ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે ભાદરણ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સતિષભાઈ તથા રીન્કુને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યારે નિમીષાને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.આ બનાવ અંગે પોલીસે સતિષભાઈની ફરીયાદના આધારે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.