તામિલનાડુ, તા. ૨૮
તામિલનાડુના અનથિયુરમાં આવેલાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન લગભગ ૫,૦૦૦ જેટલા બકરાઓનો બલિ ચડાવાયો હતો. બલિ ચડાવાયા બાદ બકરાઓનાં લોહીને પ્રસાદ તરીકે પૂજારીઓ અને ભક્તો દ્વારા પીવામાં આવ્યું હતું. દેવતા પાસેથી આશીર્વાદ મેળવવાના આશયથી બાળકો તથા સ્ત્રીઓએ પણ લોહી પીધું હતું. સ્થાનિક ખેડૂતો દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શુક્રવારે આયોજિત કરવામાં આવ્યો હતો. શુક્રવાર એ તામિલ કેલેન્ડરનો ૧૭મો દિવસ હતો, આ દિવસને દેવતા સેમ્મુનીસામી માટે પવિત્ર માનવામાં આવે છે. લોકો આ દિવસે સવારથી જ મંદિરમાં બકરાઓ સાથે આવવા લાગ્યાં હતાં. બાદમાં આ બકરાઓને વેદીમાં બલિ તરીકે ચડાવવામાં આવ્યા હતા. પૂજારીઓ દ્વારા લોહીનો પ્રસાદ લીધા બાદ તે ભક્તોને આપવામાં આવ્યો હતો. માંસને લોકોમાં ફ્રી વહેંચવામાં આવ્યું હતું. સ્થાનિકોની માન્યતા પ્રમાણે માંસ ખાવાથી રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. થોડાં વર્ષો પહેંલાં અહીં બલિ ચડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભક્તોના વિરોધ બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.