ભરૂચ,તા.૨૮
છેલ્લા એક મહિનાથી પાણી માટે વલખા મારતા ભરૂચ અને વાગરા અતાલુકાના ૩૦ ગામના લોકોએ હવે સહનશકિતીની હદ વટાવી દેતા જો ૧ લી મે સુધી પાણી પુરવઠો ચાલુ નહીં થાય તો ઓ.એન.જી.સી.ના વિરોધમાં આ ૩૦ ગામના લોકો ધારાસભ્ય ઈકબાલ પટેલના નેતૃત્વમાં આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્ર દોડતુ થઈ ગયુ છે. કાળઝાળ ગરમીમાં છેલ્લા એક માસથી પાણીની તંગી ભોગવતા ૩૦ ગામોની પ્રજાના પાણીના પ્રશ્ને તા.૧લી મે ના રોજથી ચાંચવેલ સી.પી.એફ ખાતે આમરણાંત ઉપવાસ ઉતરવાની નોટિસ ઓ.એન.જી.સી.અંકલેશ્વર તેમજ ઓ.એન.જી.સી.ના ચેરમેનને ધારાસભ્ય ઈકબાલભાઈ પટેલ દ્વારા આપવામાં આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
- ONGCના ચેરમેનને તાત્કાલિક પાણી ચાલુ કરવા અહેમદ પટેલની તાકિદ
પ્રાપ્ત માહિતી અનુસાર ઝનોરથી ચાંચવેલ સુધીની સી.પી.એફ. પાઈપલાઈનમાંથી ઓ.એન.જી.સી. દ્વારા આ બે ગામોની વચ્ચે આવતા ૩૦ જેટલા ગામોમાં પાણી પુરવઠો આપવામાં આવતો હતો. પરંતુ છેલ્લા એક માસથી કોઈપણ અગમચેતી કે સુચના આપ્યા વગર ઓ.એન.જી.સી.દ્વારા આ ગામોને પાણી પુરવઠો આપવાનો બંધ કરી દેવાતા ગામ લોકોની હાલત કફોડી બની છે.અને પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે વહીવટી તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યુ નથી.આ અંગે શ્રીમતી સોનિયાગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલનું ધ્યાન દોરાતા તેમણે ઓ.એન.જી.સી.ના ચેરમેનને તાકિદે પગલા ભરવાનું જણાવાયુ છે. આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્ય ઈકબાલ પટેલે નોટિસ આપતા ગતરોજ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ઓ.એન.જી.સી.ના પ્રોજેકટ હેડ અને ડાયરેકટર અશોક ગુપ્તા તેમજ તેમની ટીમ સાથે થયેલી બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને તાત્કાલીક પાણી પુરવઠો ચાલુ કરવા માટે બાંહેધરી આપવામાં આવી હતી.
ધારાસભ્ય ઈકબાલ પટેલે અલ્ટીમેટમ આપ્યુ હતુ કે જો ૧લી મે સુધીમાં પાણી પુરવઠો ચાલુ કરવામાં નહીં આવે તો પોતે આ સમસ્યાથી પ્રભાવિત થયેલ ૩૦ ગામના આગેવાનો સાથે સી.પી.એફ પ્લાન્ટ ખાતે આમરણાંત ઉપવાસ કરશે તેનું જે કોઈપણ પરિણામ આવશે તેના માટે તેમણે ઓ.એન.જી.સી.અને વહીવટી તંત્રને જવાબદાર ગણાશે તેમ જણાવ્યુ છે.